લોકસભા કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હું પાર્ટીનો સિપાહી છું : સૈનિક તરીકે લડતો રહીશ
નવી દિલ્હીઃ કોંગ્રેસ દ્વારા પશ્ચિમ બંગાળમાંથી ચૂંટાયેલા પાર્ટીના સાંસદ અધીર રંજન ચૌધરીને લોકસભાના પાર્ટીના નેતા તરીકે પસંદ કરાયા છે. કોંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા તેમના નામને મંજૂરી આપી દેવાઈ છે. જોકે, કોંગ્રેસે ગૃહમાં પાર્ટીના નેતા અંગે હજુ કોઈ આધિકારિક જાહેરાત કરી નથી.
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં ચૌધરીએ જણાવ્યું કે, લોકસભામાં કોંગ્રેસના નેતાની મને જવાબદારી સોંપાઈ છે. પાર્ટીએ મને આગળ આવીને ઊભા રહેવા જણાવ્યું છે અને મેં તેના માટે મારી સહમતિ દર્શાવી છે.
અધીર રંજને જણાવ્યું કે, હું કોંગ્રેસનો પ્રથમ લાઈનમાં ઊભા રહેનારો પગપાળા સિપાહી છું. હું પાર્ટી માટે એક સૈનિક તરીકે લડતો રહીશ. અધીર રંજન પશ્ચિમ બંગાળમાંથી 5મી વખત ચૂંટાયેલા સાંસદ છે. 1999 પછી તેઓ એક પણ વખત ચૂંટણી હાર્યા નથી. તેઓ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાની બહેરામપુર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અધીર ચૌધરી પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્ય રહેવાની સાથે જ પાર્ટીના પ્રદેશ એકમના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનો આ વખતની લોકસભા ચૂંટણીમાં માત્ર 52 સીટ પર વિજય થયો છે, જે વિરોધ પક્ષનો દરજ્જો મેળવવા માટેના જરૂરી આંકડા કરતા ઓછો છે.