મુખ્ય સમાચાર
News of Friday, 19th May 2023

અસિત મોદી અમને કુતરાની માફક ટ્રીટ કરતા : મારી સાથે ગંદો વ્‍યવહાર કર્યો

‘રોશન ભાભી' બાદ હવે ‘બાવરી'એ પ્રોડયૂસર અસિત મોદી વિરૂધ્‍ધ મોર્ચો ખોલ્‍યો

મુંબઇ તા. ૧૯ : મિસિસ સોઢી એટલે કે, જેનિફર મિષાી બંસીવાલ બાદ હવે અન્‍ય એક એક્‍ટ્રેસે તારક મેહતા કા ઉલ્‍ટા ચશ્‍માના પ્રોડ્‍યૂસર અસિત મોદી વિરૂદ્ધ મોર્ચો ખોલ્‍યો છે. જયાં મિસેજ સોઢીએ અસિત મોદી પર યૌન ઉત્‍પીડનનો આરોપ લગાવ્‍યો છે, તો વળી મોનિકા ભદૌરિયાએ જણાવ્‍યું કે, તેણે પણ શોના સેટ પર ટોર્ચર સહન કર્યું છે. મોનિકા ભદૌરિયાએ પોતાના લેટેસ્‍ટ ઈન્‍ટરવ્‍યૂમાં કહ્યું કે, તારક મહેતાના સેટ પર કામ કરવાનો માહોલ નરક જેવો હતો. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું કે, ત્‍યાં કલાકારોને કુતરાની માફક ટ્રિટ કરવામાં આવે છે.

મોનિકા ભદૌરિયા તારક મેહતામાં બાવરીનો રોલ પ્‍લે કરતી હતી, પણ તેણે ૨૦૧૯માં આ શોને અલવિદા કહી દીધું હતું. મોનિકા ભદોરિયાએ આ ઈન્‍ટરવ્‍યૂમાં દાવો કર્યો હતો કે, મેકર્સે તેના ત્રણ મહિનાના બાકી પૈસા નથી આપ્‍યા. મેકર્સ પર તેને હજુ ૪થી ૫ લાખ રૂપિયા લેવાના બાકી છે.

મોનિકા ભદૌરિયાએ કહ્યું કે, મેં મેકર્સ સાથે પૈસાને લઈને એક વર્ષ સુધી લડાઈ લડી, તેમણે કેટલાય આર્ટિસ્‍ટના પૈસા રોકી રાખ્‍યા છે. પછી તે રાજ અનાદકટ હોય કે ગુરુચરણ સિંહ હોય. ફક્‍ત ટોર્ચર કરવા માટે પૈસા રોકી રાખે છે. તેમની પાસે પૈસાની કોઈ કમી નથી.

મોનિકા ભદૌરિયાએ જણાવ્‍યું કે, તારક મેહતાના સેટ પર એકદમ નરક જેવું જીવન વીતાવે છે. મોનિકાની માતાને કેન્‍સરની સારવાર ચાલી રહી હતી. પણ મેકર્સે તેને જરાં પણ સપોર્ટ ન કર્યો. તેણે કહ્યું- મારી રાત હોસ્‍પિટલમાં પસાર થતી હતી અને તે મને સવારે શૂટ માટે બોલાવી લેતા હતા. હું જયારે પણ કહેતી કે, આવી શકું તેમ નથી, તો પણ મને શૂટ પર આવવા માટે મજબૂર કરતા હતા. સૌથી વાહિયાત વાત તો એ હતી કે, શૂટ પર આવ્‍યા બાદ મારે રાહ જ જોવી પડતી હતી, મારુ કંઈ જ કામ હોતું નથી, તો પણ બોલાવે.

મોનિકા ભદૌરિયાએ જણાવ્‍યું કે, જયારે તેની માતાનું નિધન થયું, તો પ્રોડ્‍યૂસર અસિત મોદીએ તેને એક ફોન પણ ન કર્યો. તેણે કહ્યું, હું આઘાતમાં હતી, પણ તેમણે મારી માતાના નિધન બાદ સાત દિવસે મને ફોન કર્યો અને સેટ પર આવી જવા કહ્યું. જયારે મેં કહ્યું કે, મારી હાલત ઠીક નથી, તો તેમની ટીમે કહ્યું કે, અમે આપને પૈસા આપી રહ્યા છીએ, અમે જયારે ઈચ્‍છીએ ત્‍યારે ઊભા રહેવું પડશે. આપની મમ્‍મી એડમિટ હોય કે કોઈ પણ. હું સેટ પર ગઈ કેમ કે મારી પાસે કોઈ ઓપ્‍શન નહોતો. અને હું બસ દરરોજ રડતી હતી. ઉપરથી તેઓ ટોર્ચર અને હેરાન કરતા હતા. તેઓ મને કોલ ટાઈમ પહેલા એક કલાક બોલાવી લેતા હતા. આટલી ગુંડાગીરી છે તેમના સેટ પર. અસિત મોદી કહે છે કે, હું ભગવાન છું.

આ સાંભળીને મોનિકા ભદૌરિયાએ અસિત મોદીને કહ્યું હતું- મારે આવી જગ્‍યા પર કામ નથી કરવું, જયાં આપને કામ કરતા લાગે કે આનાથી વધારે સારૂ તો આત્‍મહત્‍યા કરી લઈએ. તોછડાઈથી વાત કરતા હતા. સોહેલ સૌથી વધારે તોછડાઈથી વાતો કરે છે. મોનિકા ભદૌરિયાએ આગળ કહ્યું કે, તારક મેહતા કા ઉલ્‍ટા ચશ્‍માની જે હાલની કાસ્‍ટ છે, એટલે કે, જે શોમાં છે, તે બોલશે નહીં. મોનિકાએ જણાવ્‍યું કે, અસિત મોદીએ તેને એક કોન્‍ટ્રાક્‍ટ પણ સાઈન કરાવ્‍યો હતો કે તે મીડિયામાં તેની વિરુદ્ધ કંઈ નહીં બોલે. જેનિફર મિષાીજીએ પણ આ વાત કહી છે. પણ જયારે શો છોડ્‍યો ત્‍યારે બધા બોલે છે, કેમ કે બધાને પોતાની જોબ બચાવવાની છે, જેટલું ટોર્ચર તેમણે કર્યું એટલું તો કોઈએ નથી કર્યું.

મોનિકા ભદૌરિયાના જણાવ્‍યા અનુસાર, જયારે તેણે તારક મેહતા કા ઉલ્‍ટા ચશ્‍મા સાઈન કરી હતી, ત્‍યારે તેને ૩૦ હજાર રૂપિયા દર મહિને મળતા હતા. તેમણે કહ્યું કે, છ મહિના પછી સેલરી વધી જશે. પણ તેમણે ક્‍યારેય પૈસા વધાર્યા નહીં. મોનિકા ભદૌરિયાએ તેના વિશે કહ્યું કે, તેઓ પૈસાની બેઈમાની કરે છે. સાચે જ તેઓ કુતરાની માફક ટ્રિટ કરે છે. તેમણે મારી સાથે ગંદો વ્‍યવહાર કર્યો છે. અને તેમના ઈપી સોહેલ રમાની ખૂબ વાહિયાત માણસ છે. ખૂબ જ હલકટ છે. તેમણે તો નટૂકાકાને પણ નથી છોડ્‍યો, તેમની સાથે પણ એવો વ્‍યવહાર કર્યો.

મોનિકા ભદૌરિયા ઉપરાંત તારક મેહતાના પૂર્વ ડિરેક્‍ટર માલવ રજદાએ પણ જેનિફર મિષાી બંસીવાલનો સપોર્ટ કર્યો છે. જેનિફર મિષાીએ હાલમાં જ પ્રોજેક્‍ટ હેડ સોહેલ રમાની અને કાર્યકારી નિર્માતા જતિન બજાજ વિરૂદ્ધ કેસ નોંધાવ્‍યો છે અને અસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્‍યો. જેનિફરે અસિત મોદી પર યૌન શોષણનો આરોપ લગાવ્‍યો છે. જો કે, અસિત મોદીએ આ આરોપોનું ખંડન કર્યું છે અને ઉલ્‍ટા જેનિફર પર સેટ પર લેટ આવવા અને ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવી દીધો છે.

(10:33 am IST)