બસમાં છેલ્લી સીટ પર બેઠેલા વિશાલનું માથુ બારી બહાર હતું જે તેના મૃત્યુ માટે કારણભૂત બન્યું
મુર્શિદાબાદ ખાતે પોસ્ટમોર્ટમઃ રાત્રે મૃતદેહ કોલકત્તા પહોંચશે ત્યાંથી વિમાનમાર્ગે રાજકોટ લાવવામાં આવશે
રાજકોટઃ પડધરી-ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલીતભાઇ કગથરા તથા પૂર્વ નગરસેવિકા ઇલાબેન કગથરાના પુત્ર વિશાલનું બંગાળના બહેરામપુરા અને મુર્શિદાબાદ વચ્ચે ઘોષ ટ્રાવેલ્સની વોલ્વો બસ તથા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા મૃત્યુ થયું હતું. આ લખાય છે ત્યારે બપોરના અઢી વાગ્યે મુર્શિદાબાદ ખાતે વિશાલના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. ધોરણસરની વિધી બાદ બપોરના ૩ થી ૩ાા કલાકે મૃતદેહને કોલકત્તા લઇ જવાની કાર્યવાહી કરવામાં આવશે. એ પછી કોલકત્તાથી વિમાન માર્ગે વિશાલ કગથરાના નિષ્પ્રાણ દેહને રાત્રીના રાજકોટ લઇ આવવામાં આવશે. હાર્દિક પટેલ, પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ, ભાજપ અગ્રણીઓ, મુખ્યમંત્રી, ધારાસભ્ય લલીત વસોયા સતત બંગાળના સત્તાધીશોના સંપર્કમાં છે. સંભવતઃ આવતીકાલે સવારે રાજકોટ ખાતે અંતિમવિધી કરવામાં આવશે. તસ્વીરમાં જે વોલ્વો બસને અકસ્માત નડ્યો તે બસ, ટ્રક તથા જે સીટ પર વિશાલ બેઠો હતો તે બારી પાસે લોહીના ધાબા જોહી શકાય છે. નીચેની અન્ય તસ્વીરમાં વિશાલે ૧૩મીએ લીધેલી તસ્વીર તેના ફેસબૂકમાં અપલોડ કરી હતી. સ્વજનો સાથે ખુશખશાલ નજરે પડતાં વિશાલની આ તસ્વીર હવે સંભારણું બની ગઇ છે.