ઓક્સિજનની તંગી નિવારવા મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય:ઓદ્યોગિક હેતુ માટેના ઓક્સિજન પર મૂક્યો પ્રતિબંધ
22 એપ્રિલથી ઉદ્યોગોને ઓક્સિજન નહીં મળે : નવ ઉદ્યોગોને મળતો રહેશે ઓક્સિજન
નવી દિલ્હી : ઓક્સિજનની તંગી નિવારવા મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે કોરોનાના દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે હેતુસર મોદી સરકારે ઓદ્યોગિક હેતુસર વપરાતા ઓક્સિજન પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે મોદી સરકારના ઉદ્યોગો પરનો પ્રતિબંધ 22 એપ્રિલથી લાગુ પડશે.
રાજ્યોના મુખ્ય સચિવોને પાઠવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું કે દેશમાં કોરોનાના વધી રહેલા કેસો તથા ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખતા અને તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી અને યુપીની સ્થિતિ જોતા, કેન્દ્ર સરકારની પેનલે ઓદ્યોગિક ઓક્સિજન સપ્લાયની સમિક્ષા કરી અને તેમાં ઓદ્યોગિક ઓક્સિજનના સપ્લાય પર પ્રતિબંધ મૂકવાનું જરુરી લાગતા 22 એપ્રિલ પછી ઓદ્યોગિક ઓક્સિજનના સપ્લાય પર પ્રતિબંધ લાગુ પડી જશે.
ઓક્સિજનની તંગી નિવારવા મોદી સરકારે162 ઓક્સિજન પ્લાન્ટની મંજૂરી, ઓક્સિજનના સપ્લાયનો પૂરો પાડવા સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે અને ઉદ્યોગોના ઓક્સિજન પર પ્રતિબંધ એમ ત્રણ મોટા નિર્ણંય લીધા છે
ગૃહસચિવ ભલ્લાએ જણાવ્યું કે સરકારે 9 ઉદ્યોગોને ઓક્સિજન સપ્લાય આપવાનું ચાલુ રાખ્યું છે એટલે કે 9 ઉદ્યોગોને અવિરત ઓક્સિજન મળતો રહેશે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી દેશમાં જરુરી માત્રામાં ઓક્સિજન ઉપલબ્ધ બનશે