મુખ્ય સમાચાર
News of Friday, 19th April 2019

જેટના સ્લોટને હાસલ કરવા સ્પાઈસ અને એઆઈ તૈયાર

તેના વિમાન લીઝ પર લેવા માટેની તૈયારી : એર ઇન્ડિયા દ્વારા પાંચ બોઇંગ૭૭૭ માટે એસબીઆઈ ટીમને એર ઇન્ડિયા દ્વારા વિધિવતરીતે કરાયેલી અપીલ

નવી દિલ્હી, તા. ૧૯ : જેટ એરવેઝની સેવા બંધ કરવામાં આવ્યા બાદ અન્ય એરલાઇન્સો માટે મોટી રાહત દેખાઈ રહી છે. એકબાજુ જેટ એરવેઝના કર્મચારીઓના સપાના તુટી ગયા છે. આ લોકોએ ગુરુવારના દિવસે જંતરમંતર ઉપર જોરદાર દેખાવો પણ કર્યા હતા. હવે જેટ એરવેઝની સેવા બંધ કરવામાં આવ્યા બાદ હરીફ એરલાઈન્સો સ્થિતિનો લાભ ઉઠાવવા તૈયારી કરી રહી છે. એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ જેવી એરલાઈન્સ જેટના હિસ્સાને મેળવી લેવા માટે પ્રયાસ કરી રહી છે. તેના વિમાનો ભાડાપટ્ટે લેવાના પ્રયાસ થઇ રહ્યા છે. સરકાર હવે મુંબઈ અને દિલ્હીમાં ક્રમશઃ ૨૮૦ અને ૧૬૦ જગ્યાઓ માટે ફાળવણી કરનાર છે. ઇન્ડિયન કેરિયર માટે ત્રણ મહિના માટે આ જગ્યાની ફાળવણી કરવામાં આવશે. એરલાઈન્સે કહ્યું છે કે, વધુ વિમાનો ઝડપથી મેળવવામાં આવનાર છે. એરઇન્ડિયાના ચેરમેન અશ્વિની લોહાનીએ તેના જેટ એરવેઝના પાંચ બોઇંગ ૭૭૭ને ભાડાપટ્ટે આપવા એસબીઆઈને અપીલ કરી છે. મહારાજાએ મુંબઈથી લંડન, દુબઈ અને દિલ્હીથી લંડન, દુબઈ અને સિંગાપોર માટે વધારાની પાંચ ફ્લોઇટો શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. લોહાનીએ જેટ એરવેઝના બંધ કરવામાં આવેલા બોઇંગ ૭૩૭ વિમાનોને સામેલ કરવા વિચારણા કરવા એર ઇન્ડિયા એક્સપ્રેસને અપીલ કરી છે. બંધ કરવામાં આવેલી જેટ એરવેઝની સેવાને લઇને અન્ય કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધારે તીવ્ર બની છે. આવનાર દિવસોમાં જેટના વિમાનોને લેવા માટે હરીફ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધુ તીવ્ર બની શકે છે. એસબીઆઈના નેતૃત્વમાં ધિરાણદારોએ શક્તિશાળી મૂડીરોકાણકારો તરફથી બિડિંગને લઇને રાહ જોવાનો નિર્ણય કર્યો છે. જેટ એરવેઝની હાલત દિનપ્રતિદિન કફોડી બની રહી છે. નવા ખરીદદારો જેટ એરને લઇને આશાવાદી બનેલા છે. બિડને લઇને પણ ચર્ચાઓનો દોર શરૂ થઇ ચુક્યો છે. જેટ દ્વારા ૯૮૩ કરોડ રૂપિયાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ બેંકોએ હજુ સુધી કોઇ રસ દર્શાવ્યો નથી. જેટ માટે તેની સેવાને જારી રાખવા માટે પૈસા નહીં હોવાના કારણે તેની સેવાને બંધ કરવામાં આવી ચુકી છે.

જેટ દ્વારા આગામી દિવસોમાં નાણાંને લઇને કોઇ યોજના કરશે તેને લઇને પણ કોઇ વાત કરવામાં આવી નથી. શરૂઆતમાં જેટ એરલાઈનમાં ૫૦.૧ ટકાના હિસ્સાને ખરીદવા યોજના તૈયાર કરવામાં આવી હતી. રૂપિયાને ઇક્વિટીમાં ડેબ્ટમાં ફેરવી દેવાની યોજના હતી. ૧૨મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે પણ એક પરિપત્ર જારી કરાયો હતો જેમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરાયો હતો.

જેટના અટવાયેલ લોકોને વિશેષ ભાડા દ્વારા લવાશે

વિદેશમાં જેટના યાત્રી અટવાયા

નવીદિલ્હી, તા. ૧૯ : જેટ એરવેઝના અટવાયેલા વિમાની યાત્રીઓ માટે ખાસ વિમાની ભાડાની ઓફર એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. બીજી બાજુ સ્પાઇસ જેટે પણ સ્થિતિનો લાભ ઉઠાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. મળેલી માહિતી મુજબ સ્પાઇસ જેટે ગુરુવારના દિવસે કહ્યું હતું કે, તે પોતાના કાફલામાં છ વધુ બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનોને સામેલ કરશે. ડ્રાયલીઝ ઉપર આ વિમાને સામેલ કરવામાં આવશે. એરલાઈન્સે જાહેરાત કરી છે કે, જેટ એરવેઝના અટવાયેલા યાત્રીઓને સુવિધા આપવા માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. જેટની રદ કરવામાં આવેલી ફ્લાઇટોમાં મોટી સંખ્યામાં યાત્રીઓ અટવાઈ પડ્યા છે. સરકારે પણ વાજબી ભાડામાં આ યાત્રીઓને લાવવા માટે અપીલ કરી છે. વિદેશમાં અટવાયેલા જેટના યાત્રીઓને ખાસ ભાડાથી લંડન, બેંગકોક, સિંગાપોર, હોંગકોંગ અને મસ્કતથી મુંબઈ અને નવી દિલ્હી લવાશે.

(7:32 pm IST)