અખિલેશનો મોદી પર પ્રહાર
ચોકીદારે દેશને ખરાબ ચા પિવડાવી છે
લખનૌ, તા.૧૯: સમાજવાદી પાર્ટી(એસપી)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરુવારે વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર તેમના પર પ્રહારો કર્યા હતા. અખિલેશે જણાવ્યું હતું કે, ચોકીદાર ચા વાળો છે તો અમે પણ દૂધ વાળા છીએ, અને સારા દૂધની વગર સારી ચા ના બની શકે. ચોકીદારે દેશને ખરાબ ચા પિવડાવી છે.
અખલિશે ગુરુવારે એક રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં તમે એક ચા વાળા પર વિશ્વાસ કર્યો, પરંતુ ચા સારી બની નહતી. ચોકીદારે દેશને ખરાબ ચા પિવડાવી કેમકે દૂધ વગર સારી ચા ના બની શકે. ચોકીદારે દેશના યુવાનોની નોકરીઓની ચોરી કરી છે. ચોકીદારે તમારા નાણાં બેન્કમાં જમા કરાવ્યા ત્યારબાદ તે નાણાં અમીરો લઇને રફૂચક્કર થઇ ગયા. ભાજપ નવા ભારતની વાત કરે છે નવું ભારત ત્યારે બનશે જયારે નવા વડાપ્રધાન બનશે.
તેમણે જણાવ્યું હતું કે, એસપી, બીએસપી, આરએલડી ત્રણ દળોના ગઠબંધનને ભાજપ મહામિલાવટ ગણાવી રહી છે. હવે ૩૮ દળોના ગઠબંધનને તમે શું કહેશો. ભાજપે માત્ર સ્વપ્ન દેખાડ્યા છે. બે કરોડ લોકોને રોજગાર આપવાની વાત કરી હતી પરંતુ તે પણ કરી શકયા નહી.