મુખ્ય સમાચાર
News of Friday, 19th April 2019

તમાચા કાંડઃ વિપક્ષનો રઘવાટ, લોકોનો આક્રોશ કે શાસકોનો ખેલ

સૌરાષ્ટ્રમાં નરેન્દ્રભાઇની સભા બાદ એકાએક ફડાકા કાંડની હારમાળાથી અનેક તર્ક વિતર્કો

રાજકોટ,તા.૧૯: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે દેશનાં બે મુખ્ય હરીફ રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીનાં  એડી ચોટીનાં જોર સાથે પ્રચારો થઇ રહ્યા છે અને જાહેર સભા તથા રેલીઓની હાર માળા સોૈરાષ્ટ્રભરમાં સર્જી છે ત્યારે આ દરમિયાન દેશનાં વડાપ્રધાન નરૈન્દ્રભાઇ મોદીની સોરાષ્ટ્રમાં થઇ રહેલી સભાઓ બાદ વિપક્ષ કોંગ્રેસની જાહેરસભામાં પાસનાં પુર્વ આગેવાનો ઉપર એક પછી એક હુમલાનાં બનાવો બનતા ગુજરાતનાં રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. આ હુમલાઓ ખરેખર લોકોનો આક્રોશ છે? કે પછી વિપક્ષનો રઘવાટ અથવા શાસકોનો કોઇ ખેલ છે તેવા સવાલો ચર્ચામાં આવ્યા છે.

છેલ્લા અઠવાડીયા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગરની જાહેર સભાઓ યોજાઇ હતી. આ જાહેર સભાઓ યોજાયા બાદ પાસ માંથી કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ તેમજ પાસનાં ભુતપુર્વ મહિલા અગ્રણી અને અપક્ષ ઉમેદવાર રેશ્મા પટેલ ઉપર વારા ફરતી એકાએક હુમલા થવાની ઘટના બની છે ત્યારે આ બન્ને ઘટનાઓ વચ્ચે કડી છે કે કેમ? તેવી શંકાઓ ઉભી થઇ છે.

આજે સવારે વઢવાણ વિસ્તારમાં યોજાયેલ એક સભામાં હાર્દિક પટેલને એક યુવકે સ્ટેજ પર ઘસી જઇ લાફો માર્યો હતો તેમજ અપક્ષ ઉમેદવાર રેશ્મા પટેલ  ઉપર કાલે વંથલીમાં હુમલો થયાની ઘટના ઘટી હતી. આ બન્ને અગ્રણીઓ ઉપર વારા ફરતી હુમલા થવાની ઘટના બનતા લોકોમાં તરહ તરહની ચર્ચાઓ ચાલી રહી છે.

(3:35 pm IST)