મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮મીથી ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરશે : અંતિમ તૈયારીઓ

૧૦૦થી વધુ લોકસભા સીટ પર પહેલાથી જ રેલી યોજી ચુક્યા છે : પ્રચાર અભિયાનની જવાબદારી વરિષ્ઠ નેતાઓના હાથમાં સોંપાયા બાદ હવે આક્રમક તૈયારી : પ્રથમ તબક્કાના મતદાન પહેલા પણ શ્રેણીબદ્ધ રેલી કરાશે

નવીદિલ્હી, તા. ૧૯ : લોકસભા ચૂંટણીની તારીખોન જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો હવે વોટરની વચ્ચે પોતાની સ્થિતિને મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગયા છે. આના ભાગરુપે હવે ચૂંટણી અભિયાનની શરૂઆત થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮મી માર્ચથી તોફાની ચૂંટણી પ્રવાસની શરૂઆત કરશે. ભાજપ દ્વારા અંતિમ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. એકબાજુ કોંગ્રેસ પાર્ટી રાજકીયરીતે પોતાની સ્થિતિને મજબૂત કરવા ગંગા યાત્રા અને સાંચી સંવાદ જેવા અભિયાનની શરૂઆત કરી ચુક્યા છે. મોદી ૨૮મી માર્ચથી ઝંઝાવતી પ્રચાર કરવાની તૈયારીમાં છે. અનેક મોટી રેલીઓ કરનાર છે. તાજેતરમાં જ મોદીએ ૨૨ રાજ્યોની આશરે ૧૦૦ લોકસભા સીટ પર જોરદાર રેલી યોજી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદીના અન્ય અનેક કાર્યક્રમો યોજવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે, વડાપ્રધાન શરૂઆતમાં એવી સભાઓ કરશે જ્યાં ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં મતદાન યોજાનાર છે. ભાજપના પ્રચાર અભિયાનની જવાબદારી આ વખતે વરિષ્ઠ નેતાઓના હાથમાં છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ નિયમિતરતે અલગ અલગ ટીમોની સાથે બેઠક યોજીને પ્રચારને આખરી ઓપ આપવાની તૈયારીમાં છે. આ ઉપરાંત પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પણ પ્રાદેશિક સંગઠન સાથે વડાપ્રધાન સહિત અન્ય સ્ટાર પ્રચારકોના કાર્યક્રમોની રુપરેખા બનાવવામાં વ્યસ્ત છે. ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવે તે પહેલા જ મોદી અલગ અલગ રેલીઓના માધ્યમથી ૧૦૦થી વધારે લોકસભા સીટો કવર કરી ચુક્યા છે. ભાજપ પ્રમુખ અમિત શાહ આશરે ૪૫ રેલીઓ કરી ચુક્યા છે. અમિત શાહે ૧૩૦ લોકસભા સીટો ઉપર કાર્યકરો સાથે વાતચીત કરીને ફિડબેક મેળવી ચુક્યા છે. એમ માનવામાં આવે છે કે, આ તમામના આધાર ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાની ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરી લેવામાં આવી છે. મોદી ટૂંક સમયમાં વિડિયો કોન્ફરન્સિંગ મારફતે દેશના જુદા જુદા હિસ્સામાં સામાન્ય લોકોની સાથે સંવાદની શરૂઆત કરશે. ત્યારબાદ ૨૮મી માર્ચથી સામાન્ય લોકોની વચ્ચે જનસભાઓ કરશે. પાર્ટીના સુત્રોના કહેવા મુજબ ભાજપ આ વખતે ચૂંટણીમાં વધુથી વધુ લોકો સુધી પહોંચવા પ્રયાસ કરશે. થોડાક દિવસ પહેલા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રચારના ભાગરુપે ૧૦ કરોડ લોકો સુધી પહોંચવાની યોજના છે. ૨૦૧૪માં પણ ભાજપ તરફથી અબકી બાર મોદી સરકાર, મિશન ૨૭૨, ચાય પે ચર્ચા જેવા કાર્યક્રમ યોજ્યા હતા. મોદી ઉપરાંત અન્ય નેતાઓ પણ રેલી કરનાર છે. દેશભરમાં ૫૦૦થી વધારે ચૂંટણી સભાઓ છેલ્લી ચૂંટણીમાં યોજવામાં આવી હતી.

 

 

(7:36 pm IST)