RJDએ ૪ વાગ્યા સુધીનું આપ્યું અલ્ટીમેટમ : બિહાર કોંગ્રેસના નેતાઓએ કર્યા ફોન સ્વિચ ઓફ
પટણા તા. ૧૯ : પહેલા ઉત્તર પ્રદેશ, પછી પશ્યિમ બંગાળ અને હવે કદાચ બિહાર, જયાં મહાગઠબંધનની પરિકલ્પના ચૂંટણી પહેલા ધ્વસ્ત થતી જોવા મળી રહી છે. આજે એટલે કે મંગળવારે બિહારમાં ચાલી રહેલા મહાગઠબંધનના ઘટક દળોની વચ્ચે બેઠક શેરિંગને લઇને જાહેરાત થવાની હતી. જે હાલમાં વિલંબીત થતી જોવા મળી રહી છે. હવે હોળી બાદ તેની જાહેરાત થવાના અણસાર દેખાઇ રહ્યાં છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) કોંગ્રેસને માત્ર ૮ બેઠક આપવા પર બંધાયેલ છે. ત્યારે, કોંગ્રેસ ૧૧ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત પહેલાથી જ કરી ચૂકી છે. તેના માટે ઉમેદવારોનું લિસ્ટ પણ દિલ્હી મોકલી દેવામાં આવ્યું છે.
આ વચ્ચે કોંગ્રેસ નેતાઓ દ્વારા સતત આરજેડીના નેતા તેજસ્વી યાદવને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની સોમવારની મુલાકાત પણ થઇ શકી ન હતી. આ વચ્ચે આરજેડીએ કોંગ્રેસને સાંજે ૪ વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.
આરજેડીએ કોંગ્રેસથી કહ્યું છે કે, સાંજે ૪ વાગ્યા સુધીમાં નિર્ણય કરી લે, નહીતો તો આરજેડી તેમનું સ્ટેન્ડ લેશે. ત્યારે, બિહાર કોંગ્રેસ અધ્યક્ષ મદન મોહન ઝા અને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી શકિત સિંહ ગોહિલે તેમના ફોન બંધ કરી દીધા છે.
કોંગ્રેસના એક નેતાએ નામ જાહેર ના કરવાની શરત પર કહ્યું કે, લાલૂ પ્રસાદની અનુપસ્થિતિમાં આરજેડીના સર્વેસર્વા તેજસ્વી યાદવ છે. તેમની ઉચ્ચ મહત્વાકાંક્ષાના કારણે સ્થિતિ બગડી છે. એક બાજુ તેઓ બેઠક વહેંચણીને લઇને ટ્વિટ કરી સલાહ આપી રહ્યાં છે. ત્યારે પોતાની બેઠકો ઓછી કરવા માટે તૈયાર નથી. જયારે રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસની ગણતરી આઠ બેઠકો પર કરવામાં આવી રહી છે.