મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

ચીનમાં ૧૩૦૦૦થી વધારે ત્રાસવાદીની ધરપકડ કરાઇ

ચીન દ્વારા અપાયેલા આંકડાને લઇને આશ્ચર્ય : ત્રાસવાદ મુદ્દે હળવું વલણ અપનાવનાર ચીને આ આંકડા કેમ આપ્યા છે તેને લઇને રાજકીય નિષ્ણાતોમાં ચર્ચાઓ

બેજિંગ, તા. ૧૮ : ચીનના શિનજિયાંગમાં ૨૦૧૪ બાદથી આશરે ૧૩૦૦૦ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત સેંકડો આતંકવાદી અડ્ડાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ચીન સરકાર તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં આ મુજબની વાત કરવામાં આવી છે. આ રિપોર્ટ શિનજિયાંગના પરંપરાગત ઇસ્લામિ વિસ્તારમાં નજરબંધી કેમ્પ અને સૈન્ય અત્યાચારોને લઇને ટિકાકારોને કાઉન્ટર કરવા માટે કરવામાં આવ્યા છે. વિસ્તૃત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારના પ્રયાસોના પરિણામ સ્વરુપે કટ્ટરપંથીઓ ઉપર અંકુશ મુકવામા ંસફળતા મળી છે પરંતુ આનાથી એવા કોઇ પુરાવા મળતા નથી કે, ઝડપાયેલા લોકો આતંકવાદીઓ છે. ચીને હમેશા આતંકવાદને લઇને હળવું વલણ અપનાવ્યું છે જેના પરિણામ સ્વરુપે ચીનને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો હાલમાં કરવો પડી રહ્યો છે. બીજા મુસ્લિમ સંગઠનોની સામે પણ ચીન દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં જ ચીન દ્વારા મસૂદ અઝહરના મુદ્દે ટિકાત્મક વલણ અપનાવ્યું હતું. મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવનો ચીને વિરોધ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના આ પ્રસ્તાવ રજૂ કરાયા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે આની તરફેણ કરી હતી પરંતુ ચીને વીટો ઉપયોગ કરીને મસુદ અઝહરને બચાવી લેવામાં ભૂમિકા ભજવી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૪થી લઇને હજુ સુધી આતંકવાદીઓના ૧૫૮૮ નેટવર્કોનો ચીનમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે. ૧૨૯૯૫ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. દેશ વિરોધી ગતિવિધિમાં સામેલ રહેલા ૩૦૦૦૦થી વધુ લોકોને સજા પણ કરવામાં આવી ચુકી છે.

(12:00 am IST)