લોકસભા ચૂંટણી જંગ
૯૧ બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાનું શરૂ
૧૧ એપ્રિલે ૨૦ રાજયોમાં મતદાન
નવી દિલ્હી, તા.૧૮: લોકસભા ચુંટણીના પહેલા ચરણની ૯૧ બેઠકો માટે આજથી અધિસૂચના જારી થતા જ ચુંટણીની ઔપચારિક પ્રક્રિયા શરૂ થઇ જશે.
આ ઉપરાંત આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ અને સિકકીમ વિધાનસભાની બધી બેઠકો તથા ઓરિસ્સાની ૧૪૭માંથી ૨૮ બેઠકો માટે પણ અધિસુચના આજે બહાર પડશે. અધિસૂચના બહાર પડયા પછી ઉમેદવાર આજથી જ ફોર્મ ભરી શકશે.
આ વખતે લોકસભાની પ૪૩ બેઠકો માટેનું મતદાન સાત ચરણોમાં થવાનું છે. જેમાં પહેલા ચરણમાં ૧૧ એપ્રિલે મતદાન થશે. આના માટે ૧૮ માર્ચે અધિસૂચના જારી થશે. આ ચરણમાં ૨૦ રાજયો કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૧ બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૨૫ માર્ચ છે. ઉમેદવારી પત્રોની તપાસ ૨૬ માર્ચે થશે અને ૨૮ માર્ચ સુધી નામ પાછું ખેંચી શકાશે. સાતે સાત ચરણોની મત ગણતરી ૨૩ મે એ થશે.
પહેલા ચરણમાં આંધ્ર પ્રદેશની બધી એટલે કે ૨૫, ઉત્તર પ્રદેશની ૮, મહારાષ્ટ્રની સાત, આસામ અને ઉતરાખંડની પાંચપાંચ, બિહાર અને ઓરિસ્સાની ૪-૪, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીરની ર-ર તથા છતીસગઢ, મિજોરમ, સિકિકમ, ત્રિપુરા, મણિપુર, આંદામાન-નિકાબાર અને લદાખની ૧-૧ બેઠકો માટે મતદાન થવાનું છે.
આંધ્રપ્રદેશ વિધાનસભાની બધી ૧૭૫ બેઠકો, અરૂણાચલની બધી ૬૦, સિક્કિમની બધી ૩૨ અને ઓરિસ્સાની ૧૪૭માંથી ૨૮ વિધાનસભા બેઠકો માટે ૧૧ એપ્રિલે મતદાન થશે.
પહેલા ચરણનું મતદાન ૧૧ એપ્રિલ, બીજા ચરણનું મતદાન ૧૮ એપ્રિલ, ત્રીજા ચરણનું ૨૩ એપ્રિલ, ચોથા ચરણનું ૨૯ એપ્રિલ, પાંચમા ચરણનું ૦૬ મે, છઠ્ઠા ચરણનું ૧૨ મે અને સાતમાં ચરણનું મતદાન ૧૦ મે એ થશે.