યુપીની એક પોસ્ટ ઓફિસ ભારે મુંઝવણમાં
શિવજી - હનુમાનના નામે આવી ટપાલ : મંદિરે સ્વીકારવાનો કર્યો ઇન્કાર
બસ્તી તા. ૧૮ : ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાનું દુબૌલિયા પોસ્ટઓફિસ હાલ એક પત્રને લઈને ચર્ચામાં છે. જયાં પોસ્ટલ વિભાગ હનુમાન જી અને શંકર ભગવાનના નામ પર આવેલા એક સ્પીડ પોસ્ટને લઈને પરેશાન છે. આ સ્પીડ પોસ્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટથી મોકલવામાં આવી છે. આ લેટરને આપવા માટે પોસ્ટમેન મંદિરમાં ગયો હતો પરંતુ કોઈએ રીસિવ કર્યો નહોતો.
દુબોલિયા પોસ્ટઓફિસના ટપાલી દેવેન્દ્ર સિંહે જણાવ્યું કે શનિવારે હનુમાનજી અને શંકર ભગવાનના નામ પર એક રજિસ્ટ્રેશન આવ્યું હતું. જેના પર હનુમાનગઢી મંદિરનું એડ્રેસ છે. જયારે સાંજે ટપાલી લેટર લઈને મંદિરમાં આપવા ગયો ત્યારે પુજારીએ તેને લેવાની ના પાડી હતી. પુજારીનું કહેવું હતું કે આ ચિઠ્ઠી હનુમાનજી અને ભગવાન શંકરના નામ પર આવી છે તો તેને જ આપો.
જે પછી પોસ્ટમેને મંદિરની આસપાસ હનુમાન અને શંકર નામના વ્યકિતઓ વિશે જાણકારી મેળવી હતી. જોકે, તે નિરાશ જ થયો હતો. ટપાલીએ જણાવ્યું હતું કે, 'લેટરથી એ જાણવા મળ્યું કે દુબોલિયા વિસ્તારમાં એક કમલા પ્રસાદ અગહરિ નામના વ્યકિતનો છે. તેણે કોઈ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા આ લેટર મોકલાવ્યો હતો. જો કોઈ દાવેદાર ન મળ્યો તો આ લેટર પરત કરવામાં આવશે.'