યે દોસ્તી : સિંગાપોરની હોસ્પિટલમાં પથારીવશ અમરસિંહે બચ્ચન પરિવારની માફી માંગી લીધી
અમરસિંહે વિડિઓ મારફત કહ્યું મને હવે મારા શબ્દો પર પસ્તાવો થઇ રહ્યો છે.
મુંબઇઃ એક સમયના પાક્કા દોસ્ત અને જેમને લોકો એક પરિવાર ગણતા હતા તેવા દિગ્ગજ નેતા અમરસિંહ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દોસ્તી ફરી ચર્ચામાં છે, સિંગાપોરની હોસ્પિટલમાં પથારીવશ અમરસિંહે જિંદગીના અંતિમ દિવસોમાં તેમના જૂના દોસ્ત બિગ-બી અને તેમના પરિવારને યાદ કર્યો છે,
તેમને એક વીડિયો મારફતે કહ્યું છે કે હું જિંદગી અને મોત વચ્ચે લડી રહ્યો છું ત્યારે મે અમિતાભ બચ્ચનના પરિવાર વિશે જે નિવેદનો આપ્યાં હતા તેના પર મને ખેદ છે. મને હવે મારા શબ્દો પર પસ્તાવો થઇ રહ્યો છે.
રાજ્યસભાના સાંસદ અમરસિંહે કહ્યું કે અમારા સંબંધો પુરા થઇ ગયા હતા, તેમ છંતા આજે પણ મારા જન્મ દિવસે અમિતાભ બચ્ચન મને શુભેચ્છા આપે છે, મારા પિતાની પુણ્યતિથિએ પણ તેઓ તેમને યાદ કરે છે, આજે મારા પિતાની પુણ્યતિથિએ તેમને મને સંદેશ મોકલ્યો છે, હું બચ્ચન પરિવારની માફી માંગુ છું અને ભગવાન તેમને આર્શીવાદ આપે.
અત્રે ઉલેલ્ખનીય છે કે કોઇ કારણસર જયા બચ્ચન અને અમરસિંહ વચ્ચે 2012માં ઝઘડો થયા પછી બંને પરિવારો વચ્ચે અંતર વધી ગયું હતુ, અમરસિંહ બચ્ચન પરિવાર માટે ખરાબ શબ્દો પણ બોલ્યાં હતા, અમરસિંહ એક સમયે એસપીમાં મુલાયમસિંહ યાદવના ખુબ જ નજીકના નેતા હતા, પરંતુ અખિલેશ સાથે અનબનાવ પછી તેમના સંબંધો બગડી ગયા હતા, ફિલ્મી હસ્તીઓ અને રાજકીય નેતાઓ અમરસિંહની સલાહ લેતા હતા, યુપીએ-2ની સરકારમાં પણ તેમનો મહત્વનો રોલ હતો, તેઓ કોંગ્રેસના અનેક નેતાઓની નજીક હતા.