સિદ્ઘુ તેમના મિત્ર ઇમરાન ખાનને સમજાવેઃ દિગ્વિજય સિંહ
નવી દિલ્હી, તા.૧૯: પાકિસ્તાનના સેના પ્રમુખ સાથે ભેટવા અંગે નવજોત સિંહ સિદ્ઘુનો બચાવ કરનારા કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પુલવામા આતંકી હુમલા બાદ સિદ્ઘુને સલાહ આપી છે. દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ઘુ તમે તમારા મિત્ર ઇમરાન ભાઇને સમજાવો, તેમને કારણે તમને ગાળો ખાવી પડી રહી છે.
દિગ્વિજય સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અંગે પણ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન ઇમરાન ખાન આતંકી હાફિઝ સઇદ અને મસૂદ અઝહરને ભારતને સોંપવાની હિમ્મત બતાવો. આનાથી તમે પાકિસ્તાનને નાણાંકીય સંકટમાંથી બહાર કાઢવાની સાથે-સાથે નોબેલ શાંતિ પુરસ્કાર માટે પણ ફ્રન્ટ રનર હશો.
હકીકતમાં સિદ્ઘુએ ગુરુવારે પુલવામા આતંકી હુમલા બાદ જણાવ્યું હતું કે, આતંકીઓના કૃત્યો માટે રાષ્ટ્રોને જવાબદાર ઠેરવી ન શકાય. આતંકીઓનો કોઇ મજહબ નથી હોતો. દરેક દેશમાં સારા, ખરાબ અને ગંદા લોકો હોય છે. ખરાબ હોય તેમને સજા મળવી જોઇએ. પરંતુ આવા કૃત્ય માટે વ્યકિતઓને દોષિત ન ગણી શકાય. સિદ્ઘુના આ નિવેદન બાદ સમગ્ર દેશના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ સિવાય તેમની કપિલ શર્માના શોમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.