મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

માં અને માં વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદા ૩ના બદલે પ લાખ

રાજ્યના ૬૮ લાખ પરિવારોને સ્પર્શતી મહત્વની જાહેરાતઃ આયુષ્યમાન આરોગ્ય યોજનાથી સમકક્ષ લાભ : રાજકોટમાં એઇમ્સ સુવિધા આરોગ્ય ક્ષેત્રે સિમાચિહ્નરૂપ બનશેઃ MBBSની બેઠકોમાં વધારોઃ આશા ફેસીલીટેટર બહેનોના મહેનતાણામાં ૨૦૦૦ વધારો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૯: શ્રી નીતિન પટેલે કહયું કે ગુજરાતમાં ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્રો, ૧૪૯૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૨૮ મોબાઇલ મેડીકલ હેલ્થ યુનિટ, ૩૬૩ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, ૩૫ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, ૨૦ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો અને ૧૬ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલના વિશાળ આરોગ્ય માળખા દ્વારા વર્ષે ૩ કરોડ ૮૨ લાખ દર્દીઓને ઓપીડી સારવાર તેમજ ૪૩.૩ લાખ દર્દીઓને અંદરના દર્દી તરીકે સારવાર પૂરી પાડવામાં આવે છે.

તાજેતરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જે દુનિયાની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના છે, તે અમલમાં મૂકીને ગરીબો અને મધ્યમ વર્ગના નાગરિકો માટે આરોગ્ય ક્રાંતિ સર્જી છે. આ યોજનામાં પ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. આપણે ગુજરાતમાં ''માં'' અને ''માં વાત્સલ્ય'' યોના દ્વારા ૬૮ લાખથી વધુ કુટુંબોને ૩ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય રક્ષણ પુરૂ પાડીએ છીએ. અમારી સરકારે નિર્ણય કર્યો છે કે હવે ''માં'' અને ''માં વાત્સલ્ય'' યોજનાના ગુજરાતના ૬૮ લાખ લાભાર્થી પરિવારોને ૩ લાખ રૂપિયાના બદલે આયુષ્યમાન ભારતની જેમ પ લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ પૂરૃં પાડવામાં આવશે.

વધુમાં, ગુજરાતની લોકપ્રિય એન પ્રજા -દર્દીલક્ષી ''માં વાત્સલ્ય'' યોજનાનો અત્યાર સુધીમા વાર્ષિક ૩ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારોને લાભ આપવામાં આવી રહ્યો છે. ધારાસભ્યશ્રીઓ અને અનેક અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ અને મારી સમક્ષ આ આવકમર્યાદા વધારવા અને વધુ પરિવારને માં વાત્સલ્ય યોજના હેઠળ આવરી લેવા રજૂઆતો કરેલ હતી. લોકલાગણીને ધ્યાનમાં લઇ અમે આ આવકમર્યાદા રૂપિયા ૩ લાખથી વધારીને રૂપિયા ૪ લાખ કરવાનો નિર્ણય કરેલ છે. જેનો લાભ અંદાજે વધુ ૧૫ લાખ પરિવારોને થશે. આમ માં વાત્સલ્ય યોજનાના લાભાર્થી પરિવારોની સંખ્યા ૮૦ લાખથી વધુ થશે.આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે પુરૂત માનવબળ મળી રહે તે માટે, વર્ષ ૨૦૦૧-૦૨ની એમ.બી.બી.એસ.ની ૧૨૭૫ બેઠકોની સામે ૨૮૭૫ બેઠકોનો વધારો કરી કુલ ૪૧૫૦ બેઠકો, તેમજ તબીબી અનુસ્નાતક અભ્યાસક્રમની વર્ષ ૨૦૦૪-૦૫ની ૮૩૦ બેઠકોમાં ૧૧૦૫ બેઠકોનો વધારો કરી કુલ ૧૯૩૫ બેઠકો અમારી સરકારે કરી છે.

રાજ્યમાં ૩૭૫૧ આશા ફેસીલીટેટર બહેનો કાર્યરત છે. તેમને મળતા મહેનતાણામાં માસિક રૂ. ૨,૦૦૦નો વધારો કરવામાં આવશે. અને આશા વર્કર બહેનોની જેમ તેમને પણ યુનિફોર્મ તરીકે સાડી આપવામાં આવશે.

હેલ્થ પોલિસી અંતર્ગત પાલનપુર અને દાહોદ ખાતે મેડીકલ કોલેજો મંજુર કરી કાર્યરત કરવામાં આવી છે. આગામી વર્ષે વધુ ત્રણ મેડીકલ કોલેજો નડીયાદ, વિસનગર અને અમરેલી ખાતે શરૂ કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે.

એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલના મેડીસિટી કેમ્પસમાં નવનિર્મિત ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, આંખની હોસ્પિટલ તથા ડેન્ટલ હોસ્પિટલનું લોકાર્પણ ટૂંક સમયમાં વડાપ્રધાનરીના વરદ હસ્તે કરવામાં આવનાર  છે. અને નવી કીડની હોસ્પિટલ તથા યુ.એન. મહેતા કાર્ડિયાક હોસ્પિટલનું કાક પૂર્ણતાને આરે છે.ગાંધીનગર તેમજ સોલા સિવિલ હોસ્પિટલને સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં અપગ્રેડ કરવાનું આયોજન છે.

કેન્દ્ર સરકારે રાજકોટ ખાતે નામાંકિત એઇમ્સની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે. તે આરોગ્ય ક્ષેત્રે રાજ્ય માટે સિમાચિહ્ન બની રહેશે.(૧.૩૭)

(3:18 pm IST)