ફ્રાયમ્સને પાપડ ન કહેવાયઃ ૧૮% -GST ચાલુ રહેશે
નવી દિલ્હી,તા. ૧૯: પાપડ એટલે ગુજરાતી ભોજનનો મહત્વનો હિસ્સો, દાળ -ભાત કે ખીચડી -કઢી સાથે પાપડ ખાવાની મજા કંઇ ઓર જ હોય છે. પાપડ શેકેલા પણ હોય અને તળેલા પણ હોય. આ પાપડ સાથે કેટલાક લોકોએ અન-ફ્રાઇડ ફ્રાયમ્સને જોડી દીધા છે. જેથી ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી)માં રાહત મળે. પરંતુ, ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ્સ એજન્સીએ ઠરાવ્યું છે કે ફ્રાયમ્સ તળેલા હોતા નથી અને પેકેજ્ડ ફુડમાં ગણાય છે તેથી એને પાપડ જેવી કરરાહત આપી શકાય નહીં.
એજન્સીએ પીટિશનને નકારી કાઢતા કહ્યું છે કે અચોક્કસ કદના પેકેજ્ડ નાસ્તા / ખાદ્યપદાર્થ ફ્રાયમ્સ વિશે સંસદસભ્યોએ કોઇ સ્પષ્ટ પરિભાષા જણાવી નથી તેથી એને પાપડ સાથે સરખાવી શકાય નહીં. તેથી એની પર ૧૮ ટકા જીએસટી ચાલુ જ રહેશે. પાપડ પર કોઇ જીએસટી લગાડાયો નથી. અન-ફ્રાઇડ પેકેજ્ડ ફુડ ફ્રાયમ્સને નમકીન અથવા ફરસાણ તરીકે ગણવામાં આવે છે અને પાપડ તરીકે નહીં. તેથી એને પરંપરાગત ખાદ્યપદાર્થ પાપડ સાથે સરખાવી શકાય નહીં, પરિણામે એની પર ૧૮ ટકા જીએસટી લાગશે.