મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

મોરારજી દેસાઇ પછી બીજા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા

અમિતભાઇ શાહે ટવીટ કરીને શુભેચ્છા પાઠવી

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧૯:  શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેનપદે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા હોય તે બીજી વખત બન્યું છે. આ પહેલા મોરારજી દેસાઇ વડા પ્રધાન હતા ત્યારે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ૧૯૬૬ થી ૧૯૯પ સુધી રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બનાવાયા છે. સોમવારે મળેલી મીટીંગમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ વડાપ્રધાનના નામનો પ્રસ્તાવ મુકયો હતો જેને સર્વસંમતિથી મંજુર કરાયો હતો. આમ હવે વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા છે. અમિતભાઇ શાહે વડાપ્રધાનને ટવીટ દ્વારા શુભેચ્છા પાઠવી છે. તેઓએ લખ્યું છે કે મને વિશ્વાસ છે કે મોદીજીની અધ્યક્ષતામાં ટ્રસ્ટ, સોમનાથ મંદિરનો ગરીમા અને ભવ્યતામાં વધારો થશે.

કાલે સાંજે ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે. અગાઉ બે વખત જે અનિવાર્ય સંજોગોના કારણે બેઠક મુલત્વી રહી હતી.

ત્રણેક માસ પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અવસાન થતા ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણુંક કરવા માટે કાલે સાંજે ૬:૩૦ વાગ્યે ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક મળી હતી. આ વર્ચ્યુલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયા હતા. બેઠકમાં નવા ચેરમેનની વરણીના એજન્ડા સાથે સોમનાથમાં ચાલતા વિકાસ કામોની ચર્ચાઓના એજન્ડાની દર ત્રણ મહિને મળતી રૂટીન બેઠક હોવાનું ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન બાદ ટ્રસ્ટનું ચેરમેન પદ ખાલી હતું. જેથી નવા ચેરમેનની નિમણુંક કરવા માટે પ્રથમ તા.૧૧ જાન્યુ. બાદ તા.૧૩ જાન્યુ. બેઠક મળનાર હતી. જે બંન્નેે બેઠક અનિવાર્ય સંજોગોના કારણે મુલત્વી રહયા બાદ આજે સાંજે બેઠક મળી હતી. જેમાં સોમનાથ મંદિર ટ્રસ્ટીના નવા ચેરમેનના પદે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની નિમણુંક થયાની જાહેરાત થઇ છે.

(11:37 am IST)