મુખ્ય સમાચાર
News of Sunday, 19th January 2020

ગૃહમંત્રી અમિત શાહ જટિલ બેલગામ સરહદી વિવાદને ઉકેલી શકે

શિવસેના નેતા સંજય રાવત દ્વારા ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસા : કલમ ૩૭૦નો ઉકેલ લાવનાર શાહ ખુબ શક્તિશાળી છે અને જટિલ વિવાદનો ઉકેલ લાવી શકે : સંજય રાવતનો ઘટસ્ફોટ

મુંબઇ, તા. ૧૯ : કર્ણાટક અને મહારાષ્ટ્રની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા બેલગામ વિવાદને લઇને ફરી એકવાર મામલો ગરમ બની ગયો છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, રાજ્યની એક ઇંચ જમીન પણ મહારાષ્ટ્રને આપવામાં આવશે નહીં. તેમનો આરોપ છે કે, રાજકીય ફાયદો ઉઠાવવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ મુદ્દાને ફરી ઉઠાવી રહ્યા છે. આજે શિવસેના સાંસદ સંજય રાવતે કેન્દ્રીયમંત્રી અમિત શાહને અપીલ કરી હતી કે, આ વિવાદનો ઉકેલ વહેલીતકે લાવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, બેલગામમાં રહેનાર મરાઠી લોકો છેલ્લા ૭૦ વર્ષથી આ લડાઈને લડી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સામેલ કરવામાં આવેલી માંગ પર ધ્યાન આપવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલો ૧૪ વર્ષથી પેન્ડિંગ રહેલો છે. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય લેશે તે અમને મંજુર રહેશે. રાવતે કહ્યું હતું કે, અહીં લાખો મરાઠી લોકો રહે છે અને પોતાની ભાષા અને સંસ્કૃતિને પાળે છે.

             ભાષા વિવાદમાં ન પડવાની અમે કર્ણાટકના મુખ્યમંત્રીને અપીલ કરી રહ્યા છે. સંજય રાવતે કહ્યું હતુ ંકે, ગૃહમંત્રાલયે કાશ્મીર વિવાદને ઉકેલી લીધો છે. કલમ ૩૭૦ની જોગવાઈને ખતમ કરી દેવામાં આવી છે. અમિત શાહ ઇચ્છે તો બેલગામ વિવાદને પણ ઉકેલી શકે છે. આ મામલો ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. એક મજબૂત ગૃહમંત્રી તરીકે અમિત શાહ રહેલા છે. તેમની જેવી શક્તિશાળી વ્યક્તિ જ આ વિવાદને ઉકેલી શકે છે. કર્ણાટકના બેલગામ ઉપર મહારાષ્ટ્ર પોતાના દાવા કરે છે. અહીં મરાઠી ભાષાના લોકો મોટી સંખ્યામાં રહે છે. આ વિવાદને ધ્યાનમાં લઇને ગયા મહિને કોલ્હાપુરથી કર્ણાટક તરફ જનાર બસ સેવાને બંધ રાખવામાં આવી હતી જો કે, મોડેથી આ બસ સેવા ફરી શરૂ કરાઈ હતી.

              ઉદ્ધવ ઠાકરેએ મહિનાની શરૂઆતના બે પ્રધાનો છગન ભુજબળ અને એકનાથ શિંદેને કર્ણાટક સરકાર સાથે સરહદી વિવાદ સાથે સંબંધિત મામલાઓ પર વાતચીતને તીવ્ર બનાવવા માટે અપીલ કર ીહતી. સાથે સાથે આ દિશામાં પહેલ કરવાની માંગ કરવામાં આવી હતી. શિવસેના અને ભાજપ વચ્ચેના સંબંધો તુટી ગયા હોવા છતાં શિવસેના તરફથી વારંવાર મોદી સરકારની પ્રશંસા કરવામાં આવે છે જેના ભાગરુપે હવે ફરી એકવાર સંજય રાવત તરફથી અમિત શાહની પ્રશંસા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, તેમના જેવા જ ગૃહમંત્રી બેલગામ સરહદી વિવાદને ઉકેલી શકે છે. જો કે, ભારતીય જનતા પાર્ટી તરફથી હજુ સુધી પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સંજય રાવતના નિવેદનને લઇને ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે.

(8:07 pm IST)