દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો : પૂર્વ કેબિનેટમંત્રી અને પૂર્વ સ્પીકર યોગાનંદ શાસ્ત્રી કોંગ્રેસ છોડીને એનસીપીમાં જોડાયા
એનસીપી અધ્યક્ષ શરદ પવારે યોગાનંદ શાસ્ત્રીની એનસીપીમાં જોડાવાનું સ્વાગત કર્યું:દિલ્હી એનસીપીના પ્રદેશ અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી
નવી દિલ્હી : કોંગ્રેસના અન્ય એક નેતાએ શરદ પવારની પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો હાથ થામ્યો છે. દિલ્હી સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન અને પૂર્વ સ્પીકર યોગાનંદ શાસ્ત્રી કોંગ્રેસ છોડીને દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાયા છે. 76 વર્ષીય યોગાનંદ શાસ્ત્રીના એનસીપીમાં જવાથી એક સમયે કોંગ્રેસના કાર્યકરોના મનોબળને મોટો ફટકો પડ્યો છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે યોગાનંદ શાસ્ત્રીની એનસીપીમાં જોડાવાનું સ્વાગત કર્યું હતું અને દિલ્હી એનસીપીના પ્રદેશ અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી હતી. દિલ્હીના રાજકારણમાં યોગાનંદ શાસ્ત્રી કોંગ્રેસ માટે મોટું નામ હતું. શીલા દીક્ષિત સરકારમાં કેબિનેટ મંત્રી હોવા ઉપરાંત તેમણે 2008થી 2013 સુધી દિલ્હી વિધાનસભા અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
યોગાનંદશાસ્ત્રી બે વખત દિલ્હીની માલવિયા નગર વિધાનસભા બેઠક અને એક વખત મહરૌલી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વર્ષની શરૂઆતમાં દિલ્હી કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રભારી પીસી ચાકોએ કેરળ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી એનસીપીમાં જોડાયા હતા. શાસ્ત્રીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીને કારણે દિલ્હી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસની કમાન એવા વ્યક્તિ પાસે છે જે કોઈનું સન્માન નથી કરતા અને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વેચવામાં સામેલ લોકોથી ઘેરાયેલા છે. ત્યારે યોગાનંદ શાસ્ત્રીએ સુભાષ ચોપડા પર કોઈનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલા માટે હું પાર્ટી છોડી રહ્યો છું.