મુખ્ય સમાચાર
News of Monday, 18th November 2019

ડાયાબિટિસનો રામબાણ ઇલાજઃ સ્ટેમ સેલ્સ થેરાપી

મૂળમાંથી મટાડી દયે છે સ્ટેમ સેલ્સ થેરાપીઃ ઉત્સાહજનક પરિણામો

નવી દિલ્હી, તા.૧૮: ડાયાબિટિઝના દર્દીઓ માટે એક સૌથી મોટી વિટંબણા હોય તો દરરોજ લેવાના ઇન્સ્યુલીનના ઇન્જેકશન, દરરોજ આ દર્દ સહન કરવાનું. બધા દર્દીઓની જેમ UKમાં રહેતા અને મૂળ ભૂજના વતની સુરેશ વખારીયા પણ છેલ્લા ૨૦ વર્ષથી પોતાના ટાઈપ-૨ ડાયાબિટિઝ અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા ઇન્સ્યુલીનના ઇન્જેકશન લેતા હતા. તેમ છતા તેમનું ડાયાબિટિઝ હવે ધીર ધીરે તેમની કિડની અને હૃદયને નબળું પાડી રહ્યું હતું. પરંતુ ૬૨ વર્ષના આ NRIએ છેલ્લા ૭ મહિનાથી ડાયાબિટિઝની કોઈ દવા લીધી નથી અને કદાચ હવે તેમને આ દવા લેવાની પણ કયારેય જરુર નહીં પડે.

આ ચમત્કાર થયો છે જયારથી તેમણે વડોદરામાં ડાયાબિટિઝના ઈલાજ માટે સ્ટેમ સેલ થેરાપી લીધી છે. વેખારીયાની જેમ બીજા ૭ ડાયાબિટિક લોકો પણ વડોદરમાં થઈ રહેલા સ્ટેમ સેલ્સ પરના સંશોધનમાં ભાગ લીધો હતો. જેમાંથી કેટલાકને ટાઈપ-૧ તો કેટલાકને ટાઇપ-૨ ડાયાબિટિઝ હતું પરંતુ હવે કોઈને ડાયાબિટિઝ મૂળમાંથી જ મટી ગયું છે જયારે કેટલાકમાં તે ખૂબ જ નીચેના સ્તરે જતું રહ્યું છે. આ તમામ લોકો કેન્દ્ર સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા આવેલ ફંડથી ચાલતા એક પ્રયોગમાં સામેલ થયા હતા. જેના પોઝિટિવ રિઝલ્ટ જોવા મળ્યા છે.

કેન્દ્ર સરકારના ફંડ દ્વારા સ્ટેમ સેલ થેરાપી પર રિસર્ચ કરી રહેલા ડો. ભાસ્કર વ્યાસ અને તેમના પત્ની ડો. રજની વ્યાસે જણાવ્યું કે, 'અમે દેશમાં સૌથી પહેલા હતા જેમણે સ્ટેમ સેલ્સ થેરાપી પર રિસર્ચ કરવાનું શરું કર્યું હતું. વર્ષ ૨૦૦૭માં અમે આ રિસર્ચ શરું કર્યું અને વર્ષ ૨૦૧૨થી જ અમે ડાયાબિટિઝના પેશન્ટને આ થેરાપી દ્વારા કયોર કરવાનું શરું કરી દીધું છે. ગુજરાતમાં ડાયાબિટિઝના દર્દીઓ પર કરવામાં આવેલ અમારી સારવારમાં અમને એકધારું સફળ રીઝલ્ટ મળ્યું છે.'

આ પ્રોજેકટ અંતર્ગત ૨ સગીર અને ૫ વયસ્ક ડાયાબિટિઝના દર્દીઓને કાયમી ધોરણે કયોર કરવામાં આવ્યા છે જેમની ડાયાબિટિઝની હિસ્ટ્રી ખાસ્સી લાંબી હતી. વ્યાસે આ થેરાપી વિશે વાત કરતા કહ્યું કે બોન મેરોમાં મળી આવતા mesenchymal સ્ટેમ સેલ્સમાં એ ક્ષમતા હોય છે કે તે ઇન્સ્યુલીનનો સ્ત્રાવ કુદરતી રીતે જ કરી શકે છે.

ડોકટર વ્યાસના દર્દીઓ પૈકી બે સગીર વયના બાળકો પણ હતા. જે પૈકી ૧૫ વર્ષનો જુગૈન પટેલને તે ૧૦ વર્ષનો હતો ત્યારથી જ ડાયાબિટિઝ હોવાનું નિદાન થયું હતું. તેણે કહ્યું કે, 'સ્ટેમ સેલ થેરાપી લેતા પહેલા મારું સુગર લેવલ ખૂબ જ ચઢાવ-ઉતારવાળું રહેતું હતું જેના કારણે હું દ્યણીવાર મૂડ સ્વિંગ અને થાક અનુભવતો હતો. હવે ઇન્સ્યુલીનના ઈન્જેકશન ઉપર મારો આધાર ખૂબ જ ઓછો થઈ ગયો છે અને હવે હું ખૂબ જ સ્વસ્થ અનુભવું છું.'

આ પ્રયોગ માટે પેટન્ટ ડો. નિરુપા વ્યાસ દ્વારા દાખલ કરવામાં આવી છે. જયારે આ પ્રયોગ તેમના અને શહેરના અન્ય એક આન્ત્રપ્રેન્યોર સંદીપ ડેવિડ દ્વારા દેશમાં ડાયાબિટિઝના સૌથી વધુ દર્દી ધરાવતા ગુજરાત તેમજ કેરળના દર્દીઓને ડાયાબિટિઝ મુકત બનાવવાના ધ્યેયથી શરું કરવામાં આવ્યો હતો.

(12:46 pm IST)