સંબંધો મરી ગયા : ભાઇઓએ સગી બહેન પર ચાર વર્ષ સુધી ગુજાર્યો બળાત્કાર
પીડિત કિશોરી હાલ ધો. ૧૨માં અભ્યાસ કરે છે, પિતાનું ગયા વર્ષે હૃદયની બીમારીને કારણે નિધન થઇ ચુકયું છે
મેરઠ તા. ૧૮ : ઉત્તર પ્રદેશના મેરઠમાં સંબંધો મરી પરવર્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. આ ઘટના પર આખી માનવજાતે શરમાવવું પડશે. અહીં એક ૧૫ વર્ષની કિશોરી પર તેના જ બે સગા ભાઈઓએ ચાર વર્ષ સુધી કથિત બળાત્કાર ગુજાર્યો હતો. સગા ભાઈઓએ આપેલી પીડાથી કિશોરી ભાંગી પડી છે. અંતે એક સામાજિક સંસ્થાના માધ્યમથી તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસ અધિકારી રણવિજયસિંહના જણાવ્યા પ્રમાણે, પીડિત કિશોરીની ફરિયાદ બાદ આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. અમે બંને ભાઈઓ સામે એફઆઈઆર દાખલ કરી છે. બંનેએ પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો કબૂલ કરી દીધો છે. સિવિલ લાઇન ક્ષેત્રમાં રહેતી પીડિતાને જણાવ્યા પ્રમાણે તેના બંને ભાઈઓ ધર્મેશ અને પ્રશાંત છેલ્લા ચાર વર્ષથી તેના પર બળાત્કાર ગુજારી રહ્યા હતા. વિરોધ કરવામાં આવતા બંને તેની માતાને મારી નાખવાની ધમકી આપતા હતા તેમજ તેની સાથે મારપીટ પણ કરતા હતા.
પીડિતાએ મીડિયાને જણાવ્યું હતું કે તેના પિતા હૃદયરોગના દર્દી હતા. ગયા વર્ષે તેમનું નિધન થઈ ગયું હતું. ઘરે માતા અને બે ભાઈઓ છે. ભાઈઓ તરફથી સતત શારીરિક ત્રાસ બાદ હું મેરઠની સામાજિક સંસ્થા સર્વોદયના સંચાલકોને મળી હતી. સંસ્થાને મળ્યા બાદ મેં મારા બંને ભાઈઓ સામે ફરિયાદ દાખલ કરવાની હિંમત કરી હતી. આ બાબતે પોલીસને જાણ કરી હતી. કિશોરી ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે.(૨૧.૯)