રામ મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવા માટે સાત ખંડ ધરતીમાંથી ૧૧૫ દેશોનું પાણી ભારત પહોંચ્યું
૧૯૨ વિશ્વસ્વીકૃત દેશોમાંથી બાકી રહેલાં ૭૭ દેશોનું પાણી પણ આગામી સમયમાં આવશે
નવી દિલ્હી : રામ મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવા માટે સાત ખંડ ધરતીમાંથી ૧૧૫ દેશોનું પાણી ભારત આવી પહોંચ્યું છે. ૧૯૨ વિશ્વસ્વીકૃત દેશોમાંથી બાકી રહેલાં ૭૭ દેશોનું પાણી પણ આગામી સમયમાં આવી પહોંચશે.
સાત ખંડ ધરતીના ૧૧૫ દેશોમાંથી એકઠું થયેલું પાણી રામ મંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવાશે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, યહુદી, શીખ, પારસી સહિતના બધા જ ધર્મોના લોકોએ દુનિયાભરના મહાસાગરો, પવિત્ર ગણાતી ધારા- નદી-સરોવરોમાંથી આ પાણી એકઠું કરીને મોકલ્યું છે. યુએન માન્ય અને જે દેશની માન્યતા સામે કોઈ જ વિવાદ ન હોય ૧૯૨ દેશોમાંથી પાણી મેળવવાની ઝુંબેશ ચાલી રહી છે. બાકી રહેલાં ૭૭ દેશોમાંથી પણ આગામી સમયમાં પાણી આવી પહોંચશે. દુનિયાભરના મહાસાગરો, નદીઓ, સરોવરો, ધોધ વગેરેનું પાણી રામમંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાશે. શ્રીરામ મંદિર નિર્માણમાં દુનિયાભરનું પવિત્ર જળ ઉપયોગમાં લેવાશે એ એક અનોખી અને અદ્વિતીય ઘટના છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે રામાયણમાં ઉલ્લેખ છે એ પ્રમાણે ભગવાન રામનો રાજ્યાભિષેક થયો ત્યારે દુનિયાભરની નદીઓનું પવિત્ર જળ એકઠું કરીને અભિષેક કરાયો હતો. એ જ રીતે અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે પણ દુનિયાભરમાંથી પાણી એકઠું કરવામાં આવી રહ્યું છે.