સાવરકર જો PM બન્યા હોત તો પાકિસ્તાનનો જન્મ ન થયો હોતઃ ઉદ્ઘવ ઠાકરે
વિનાયક દામોદર સાવરકર વિશે કોંગ્રેસે એકતરફી અભિયાન ચલાવ્યું
મુંબઈ, તા.૧૮: શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ વિનાયક દામોદર સાવરકર વિશે મોટું નિવેદન આપ્યું છે. ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે જો સાવરકર દેશના વડાપ્રધાન બન્યા હોત તો પાકિસ્તાનનો જન્મ જ ન થયો હોત. તેની સાથે જ ઠાકરેએ વીર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી છે. ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ.
શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ આ નિવેદન વીર સાવરકર પર લખવામાં આવેલી બાયોગ્રાફી- Savarkar: Echoes from a Forgotten Pastના વિમોચર પર આપ્યું. ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું કે તેઓ ભારતની આઝાદીની લડાઈમાં ગાંધી અને નહેરુના યોગદાનથી સાવરકરનું યોગદાન ઓછું નથી માનતા. પરંતુ દુૅંખની વાત એ છે કે દેશને માત્ર આ બે મહાનુભાવો વિશે જ જણાવવામાં આવ્યું. એવું લાગ્યું કે માત્ર આ બે પરિવાર ભારતીય રાજનીતિમાં અવતર્યા હતા.
શિવસેના પ્રમુખે કહ્યું કે તેમને લાગે છે કે સૌથી પહેલા રાહુલ ગાંધીને આ પુસ્તકની નકલ આપવી જોઈએ. તેની સાથે જ ઉદ્ઘવે કહ્યું કે તેમને નહેરુને વીર કહેવામાં સંકોચ નહીં થાય જો તેઓ ૧૪ મિનિટ પણ જેલની અંદર સાવરકરની જેમ રહ્યા હોતા. વીર સાવરકરે જેલમાં ૧૪ વર્ષ કપરી સ્થિતિમાં પસાર કર્યા હતા.
વિક્રમ સંપથે લખેલી બાયોગ્રાફીમાં ૧૮૮૩થી ૧૯૨૪ સુધીની સ્થિતિનો ઉલ્લેખ છે, જેમાં સાવરકરના યોગદાન વિશે જણાવવામાં આવ્યું છે. ઉદ્ઘવે કહ્યું કે, સાવરકર વિશે કોંગ્રેસ તરફથી એકતરફી અભિયાન ચલાવવામાં આવ્યું. સાવરકર વિશે એવો પ્રચાર કરવામાં આવ્યો કે તેઓ અંગ્રેજોની વિરુદ્ઘ લડાઈમાં દેશની સાથે નહોતા. પરંતુ આ વાત હકીકત નથી.