શિક્ષક બન્યો હેવાન ! : શિક્ષકે માર મારતા 10 વર્ષના માસુમનું મોત
રાજસ્થાનના જાલોરમાં શિક્ષકના મારથી એક વિદ્યાર્થીના મોતની ઘટના બાદ હવે યૂપીમાં એક વિદ્યાર્થીના મોતના સમાચાર સામે આવતા ખળભળાટ
લખનૌ : રાજસ્થાનના જાલોરમાં શિક્ષકના મારથી એક વિદ્યાર્થીના મોતની ઘટના હજુ શાંત થઇ નથી ત્યારે હવે યૂપીમાં એક વિદ્યાર્થીના મોતના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં એક શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા તેનું મોત થયુ છે. આ ઘટના શ્રાવસ્તી જિલ્લાના સિરસિયા વિસ્તારની છે.
કહેવામાં આવી રહ્યુ છે કે મૃતક વિદ્યાર્થીનું નામ બૃજેશ વિશ્વકર્મા હતુ અને તેની ઉંમર માત્ર 10 વર્ષ હતી. આ ઘટના સિરસિયા વિસ્તારના બંકટવા દારી પુરવા ગામની છે, જ્યા પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષકે બાળકને માર મારતા તેનું મોત થયુ છે. આ ઘટના બાદ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. મૃતક વિદ્યાર્થીના શબને પોસ્ટ મોર્ટમ માટે બહરાઇચ મોકલવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના સુરાણા ગામમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિરમાં ત્રીજા ધોરણના વિદ્યાર્થી ઇંદ્ર મેઘવાલનું શિક્ષકની મારથી મોત થયુ હતુ. આ ઘટનામાં દાવો કરવામાં આવ્યો કે મૃતક વિદ્યાર્થીએ શિક્ષકના માટલામાંથી પાણી પીધુ હતુ, જે બાદ 20 જુલાઇએ શિક્ષકે તેને માર માર્યો હતો જે બાદ અમદાવાદની એક હોસ્પિટલમાં તેનું મોત થયુ હતુ.