મુખ્ય સમાચાર
News of Thursday, 18th August 2022

ગેરેજમાં કામ કરીને સખત મહેનત કરી લોકોના દિલમાં જગ્‍યા બનાવનાર ગીતકાર ગુલઝારનો આજે જન્‍મદિવસ

ગુલઝારનું અસલી નામ સંપુર્ણસિંહ કાલરાઃ તેમનો જન્‍મ 1934માં પંજાબના ઝેલમમાં થયો હતોઃ ઓસ્‍કાર અને ગ્રેમી એવોર્ડ મેળવ્‍યા હતા

મુંબઇઃ લાખો ભારતીયના દિલો દિમાગમાં જગ્‍યા બનાવનાર ગીતકાર ગુલઝારનો આજે જન્‍મદિવસ છે. તેમનો જન્‍મ પંજાબના ઝેલમમાં થયો હતો. દેશના ભાગલા બાદ મુંબઇ આવી ગેરેજમાં કામ કર્યુ હતુ. સમય મળતા તેઓ કવિતા લખતા, ગીત ગાતા હતા. તેમના કરિયરની શરૂઆત બિમલ રોયના સહાયકના રૂપમાં થઇ હતી. બાદમાં તેમને ગ્રેમી એવોર્ડ પણ મળ્‍યો હતો.

દરેક ભાવને ઉમદા અંદાજમાં રજૂ કરનાર, દરેક રસને સાકાર કરનાર અને લાખો લોકોના દિલનો હાલ બયાન કરનાર ગીતકાર ગુલઝારનો આજે જન્મદિવસ છે. ગુલઝારના શબ્દોમાં એ જાદૂ છે કે તેમને સાંભળીને લોકો દિવાના થઈ જાય છે. શબ્દોના જાદૂગર કહેવાતા ગુલઝાર આજે પોતાનો 87મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ત્યારે જાણો આજે તેમના વિશે ખાસ વાતો.

પાકિસ્તાનમાં થયો જન્મ-

ગુલઝારનો અસલી નામ સંપૂર્ણ સિંહ કાલરા છે. તેમનો જન્મ 18 ઓગસ્ટ 1934ના દિવસે પંજાબના ઝેલમમાં થયો હતો. જે હવે પાકિસ્તાનમાં છે. ભાગલા બાદ ગુલઝારનો પરિવાર અમૃતસર આવી ગયો હતો. અમૃતસરમાં ગુલઝારનો મન નહોતું લાગ્યું અને તેઓ મુંબઈ આવી ગયા.

ગેરેજમાં કર્યું હતું કામ-

મુંબઈ આવ્યા બાદ ગુલઝારે ગેરેજમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ગેરાજના કામમાંથી જ્યારે સમય મળતો ત્યારે તેઓ કવિતાઓ લખતા હતા.  ગુલઝારના કરિયરની શરૂઆત 1961માં વિમલ રાયના સહાયકના રૂપમાં થઈ હતી. આ સમયે તેમણે ઋષિકેશ મુખર્જી અને હેમંત કુમાર સાથે જ કામ કર્યું. આ દરમિયાન તેમણે બંદિનીમાં લિરિક્સ લખવાનો મોકો મળ્યો.

આવી રીતે મળ્યા રાખી અને ગુલઝાર-

સંગીતકાર હેમંત કુમારના ઘરે ગુલઝાર અને રાખી વચ્ચે મુલાકાત થઈ. જે તેમને મીના કુમારી જેવા જ લાગ્યા અને બંનેએ લગ્ન કરી લીધા. બંનેની એક દીકરી પણ છે મેઘના. જો કે, લગ્નના કેટલાક વર્ષો બાદ અણબનાવના કારણે રાખી તેમનાથી દૂર થઈ ગઈ. ગુલઝારે મેઘનાનો ઉછેર કર્યો.

ગુલઝારને સૌથી મોટા પુરસ્કાર જીત્યા-

પોતાની કલમની તાકાતથી ગુલઝારે તમામ મોટા પુરસ્કારો જીત્યા. વર્ષ 2004માં ગુલઝારને ભારત સરકારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. સ્લમડૉગ મિલિયોનરના ગીતા જય હો માટે તેમને અને રહેમાનના સંયુક્ત રીતે બેસ્ટ ઑરિજિનલ સ્કોરનો અવૉર્ડ મળ્યો.

(4:20 pm IST)