દોષિતોની મુક્તિએ મારી શાંતિ છીનવી લીધી...‘ન્યાયમાં મારો વિશ્વાસ ડગી ગયો છે'
છલકયુ બિલકિસ બાનોનું દર્દ
નવી દિલ્હી, તા.૧૮: ગોધરા કેસ દરમિયાન રણધિકપુર ગામમાં બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના દોષિતોની મુક્તિ અને સન્માનએ બિલકીસ બાનોને હચમચાવી નાખ્યો છે. કોર્ટે તમામ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી, પરંતુ ૧૫ વર્ષની સજા પૂર્ણ થયા બાદ તમામને છોડી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા તમામ ગુનેગારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ મામલે પહેલીવાર બિલકીસે પોતાનું મૌન તોડ્યું છે.
તેના વકીલ શોભા ગુપ્તા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં, બિલકિસે કહ્યું, હું એટલું જ કહી શકું છું કે કોઈ પણ મહિલા માટે આ રીતે ન્યાય કેવી રીતે સમાપ્ત થઈ શકે? મને મારા દેશની સર્વોચ્ચ અદાલતોમાં વિશ્વાસ હતો. મને સિસ્ટમમાં વિશ્વાસ હતો અને હું ધીમે ધીમે મારી સાથે બનેલી આ દુર્ઘટના સાથે જીવવાનું શીખી રહી હતી. આ દોષિતોની મુક્તિથી મારી શાંતિ છીનવાઈ ગઈ છે અને ન્યાયમાં મારો વિશ્વાસ ડગમગી ગયો છે.
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. કારસેવકો આ ટ્રેન દ્વારા અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા. જેના કારણે કોચમાં બેઠેલા ૫૯ કાર સેવકોના મોત થયા હતા. આ પછી ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા. રમખાણોથી બચવા માટે, બિલ્કીસ બાનોએ તેની પુત્રી અને પરિવાર સાથે ગામ છોડી દીધું હતું.
૩ માર્ચ ૨૦૦૨ ના રોજ, ૨૦-૩૦ લોકોના ટોળાએ તલવારો અને લાકડીઓથી હુમલો કર્યો જ્યાં બિલકિસ બાનો અને તેનો પરિવાર છુપાયો હતો. ટોળાએ બિલ્કીસ બાનો પર બળાત્કાર કર્યો હતો. તે સમયે બિલ્કીસ ૫ મહિનાની ગર્ભવતી હતી. એટલું જ નહીં તેના પરિવારના ૭ સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી. જ્યારે બાકીના ૬ સભ્યો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ કેસમાં ૨૧ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ સીબીઆઈની વિશેષ અદાલતે તમામ ૧૧ દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી
ગુજરાત સરકારે બિલ્કીસ કેસના ગુનેગારોને છોડવા જોઈએ કે નહીં તે માટે એક સમિતિની રચના કરી હતી. ગોધરાના કલેક્ટર સુજલ માયત્રાને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તે જ સમયે, પંચમહાલના બે ભાજપના ધારાસભ્યો, ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજી, ધારાસભ્ય સુમન ચૌહાણ, પંચમહાલના સાંસદ જસવંતસિંહ રાઠોડ સહિત ૧૧ લોકોનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
રાધેશ્યામ શાહ, જસવંત ચતુરભાઈ નાઈ, કેશુભાઈ વડાણીયા, બકાભાઈ વાડાણીયા, રાજીવભાઈ સોની, રમેશભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ભટ્ટ, બિપીનચંદ્ર જોષી, ગોવિંદભાઈ નાઈ, મિતેશ ભટ્ટ અને પ્રદીપ મોઢિયાને મુક્ત કરવામાં આવ્યા છે.