મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

અસાસુદ્દીન ઓવૈસીના શપથગ્રહણ વેળા જયશ્રી રામ નારા ગુંજી ઉઠ્યા

અસાસુદ્દીન ઓવૈસીના શપથ બાદ જયભીમ, જયહિંદના નારા : પ્રજ્ઞાએ શપથ બાદ ભારત માતા કી જયના નારા લગાવ્યા રાહુલ ગાંધી તેમજ સની દેઓલે અંગ્રેજીમાં લીધેલા શપથ

નવી દિલ્હી, તા. ૧૮ : ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અને હૈદરાબાદમાંથી સાંસદ ચુંટાયેલા અસાસુદ્દીન ઓવૈસીએ આજે સંસદમાં સાંસદ તરીકેના શપથ લીધા હતા. ઓવૈસી શપથગ્રહણ માટે જ્યારે પોતાની સીટ ઉપરથી ઉભા થયા ત્યારે ભાજપના કેટલાક સાંસદોએ જયશ્રીરામ અને વંદેમાતરમના નારા લગાવ્યા હતા. ભાજપના સભ્યો દ્વારા જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા બાદ ઓવૈસીએ હાથથી ઇશારો કરીને નારા લગાવવા માટે કહ્યું હતું. શપથ લીધા બાદ ઓવૈસીએ પણ જય ભીમ, અલ્લાહો અકબર, જય હિંદના નારા લગાવ્યા હતા. છેલ્લા બે દિવસથી સાંસદોને શપથ લેવડાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ઓવૈસી જેમ જ પોતાની સીટ પરથી ઉભા થયા ત્યારે ભાજપના સભ્ય જયશ્રી રામના નારા લગાવવા લાગ્યા હતા. જો કે, તે ગાળા દરમિયાન ઓવૈસીએ કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. શપથગ્રહણ કર્યા બાદ તેઓએ પ્રોટેમ સ્પીકરની તરફ જોઇને ભાજપના સાંસદો તરફ ઇશારો કર્યો હતો. ત્યારબાદ જયભીમના નારા લગાવવામાં આવ્યા હતા. જય હિંદના નારા લગાવ્યા હતા. હૈદરાબાદથી સાંસદ ઓવૈસીને જ્યારે આ ઘટના અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ટકોર કરતા કહ્યું હતું કે, તેમને જોઇને ભાજપના લોકોને જયશ્રી રામની યાદ આવે છે. જો આવું થાય છે તો આમા તેમને કોઇ વાંધો નથી. આ બહાને બિહારમાં બાળકોના મોતની યાદ તેમને આવતી નથી. આ વખતે શપથગ્રહણમાં કેટલાક સાંસદો જુદા અંદાજમાં દેખાયા હતા. ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે શપથગ્રહણ બાદ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. બોલીવુડ અભિનેતા સની દેઓલે અંગ્રેજી ભાષામાં શપથ લીધા હતા જ્યારે આમ આદમી પાર્ટીના સાંસદ ભગવત માને શપથ લીધા બાદ ઇંકલાબ જિંદાબાદના નારા લગાવ્યા હતા. પ્રોફેશનથી તબીબ રહેલા હર્ષવર્ધને સંસ્કૃતમાં શપથ લીધા હતા જ્યારે કોંગ્રેસના કેરળમાંથી સાંસદ સુરેશે હિન્દીમાં શપથ લઇને તમામને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અંગ્રેજીમાં શપથ લીધા હતા. ૧૭મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઇ ચુક્યું છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીની આંધી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને માત્ર ૫૨ સીટો મળી હતી. બજેટ સત્ર દરમિયાન લોકસભામાં પાંચમી જુલાઈના દિવસે નવા નાણાંમંત્રી નિર્મલા સીતારામન વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું સંપૂર્ણ બજેટ રજુ કરશે. બીજી અવધિમાં મોદી સરકારનું આ પ્રથમ બજેટ રહેશે. સામાન્ય ચૂંટણીના અનુસંધાનમાં તત્કાલિન નાણામંત્રી પિયુષ ગોહિલ દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે વચગાળાનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક હાલમાં યોજાઈ હતી. જેમાં ૧૭મી લોકસભાનું સત્ર ૧૭મી જુનથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જ્યારે ૧૯મી જુનના દિવસે લોકસભા અધ્યક્ષની ચૂંટણી થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૦મી જુનના દિવસે ગુરુવારના દિવસે સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદના બન્ને ગૃહોને સંબોધન કરશે. ચોથી જુલાઈના દિવસે આર્થિક સર્વે રજુ કરવામાં આવશે. જ્યારે ૨૦૧૯-૨૦ માટે કેન્દ્રિય બજેટ લોકસભામાં સવારે ૧૧ વાગ્યે રજુ કરવામાં આવશે. લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન કુલ ૩૦ બેઠક યોજાશે. સરકારે ગઇકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.

(7:37 pm IST)