મુખ્ય સમાચાર
News of Tuesday, 18th June 2019

અનેક ફેરફારના કારણે આવકવેરા રિટર્નની તારીખ લંબાવાની શકયતા

સરકારે ટીડીએસ સર્ટીફીકેટ તથા ફોર્મ-૧૬ અને આઇટીઆર ફોર્મમાં પણ ઘણા ફેરફાર કર્યા છે

મુંબઇ તા. ૧૮ :.. આ વર્ષે પણ આવકવેરા રિટર્ન ભરવા માટેની સમય મર્યાદા વધારવામાં આવે તેવી પુરી શકયતા છે. સરકારે ફોર્મ-૧૬, સેલેરી ટીડીએસ સર્ટીફીકેટ અને સેલેરી ટીડીએસ રિટર્નમાં થયેલા ફેરફારના કારણે ટીડીએસ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા એક મહિનો લંબાવી છે તેના કારણે વ્યકિતગત કરદાતાઓ મધ્ય જૂલાઇથી જ રિટર્ન ફાઇલ કરી શકશે અને તેથી ૩૧ જૂલાઇ સુધીમાં રિટર્ન ભરવા બધા માટે શકય ના બની શકે તેવી સ્થિતિને લઇને આવકવેરા રિટર્ન ભરવાની સમય મર્યાદા વધારવામાં આવે તેવી સંભાવના છે.

સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે, 'નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ ના સેલેરીના ટીડીએસ રિટર્ન એટલે કે ફોર્મ ર૪-કયુ ભરવાની છેલ્લી તારીખ ૩૧ મે થી લંબાવીને ૩૦ જૂન કરવામાં આવી છે. ફોર્મ ર૪-કયુનું ફોર્મેટ બદલવામાં આવ્યું છે તેથી એમ્પ્લોયર્સને પુરતો સમય આપવા માટે આ તારીખ લંબાવવામાં આવી છે. કંપનીઓ ટીડીએસ રીટર્ન ફાઇલ કરે તેના ૧પ દિવસમાં તેમણે  કર્મચારીઓને ફોર્મ-૧૬ આપવું જરૂરી છે. આમ ટીડીએસ રિટર્નની સમય મર્યાદા ૩૦ જૂન નકકી થઇ છે અને ફોર્મ ૧૬ ઇસ્યુ કરવાની ડેડલાઇન પણ લંબાવીને ૧૦ જૂલાઇ કરવામાં અવી છે. આ સ્થિતિમાં હાલની ડેડલાઇન મુજબ તેમની પાસે રિટર્ન ભરવા માટે મત્ર ર૦ દિવસનો સમજ જ રહે છે. આથી આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા વધારવામાં આવે તેવી પૂરી શકયતા છે.'

સરકાર કરદાતાઓને રાહત આપવા માટે આવકવેરા રિટર્નની ડેડલાઇન લંબાવે તેવી શકયતા છે કારણે ગયા એસેસમેન્ટ વર્ષથી બદલાયેલા નિયમો મુજબ લેટ ફાઇલીંગ પર રૂ. ૧૦,૦૦૦ સુધીની પેનલ્ટી લાગુ થાય છે. સરકારે આ વર્ષથી નવા આવકવેરા રિટર્ન ફોર્મ નોટિફાઇ કર્યા છે અને ટીડીએસ સર્ટીફીકેટ તેને સુસંગત બને તે માટે ફોર્મ-૧૬ અને ફોર્મ-ર૪-કયુમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે ૧ર મે, ર૦૧૯ થી અમલમાં આવ્યા છે. ફોર્મ ૧૬ ના પાર્ટ-બી કે જેમાં સેલરી અને અન્ય આવકની માહિતી હોય છે તેને સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવી છે અને એલાવન્સ વિશે વધુ વિગતો માંગવામાં આવી છે. ઉપરાંત હવેથી પાર્ટ-બી પણ ટ્રેસિસ પોર્ટલ પરથી જ ડાઉનલોડ કરીને ઇસ્યુ કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. રૂ. પ૦ લાખ સુધીની આવક ધરાવતા પગારદાર કરદાતા કે જેમની પાસે આવકનો બીજો કોઇ સ્ત્રોત નથી તેમણે આઇટીઆર-૧ ફાઇલ કરવાનું રહેશે અને જો વ્યકિતની અવક રૂ. પ૦ લાખથી વધુ હોય તો તેમણે આઇટીઆર-ર ફાઇલ કરવાનું રહેશે.

સીએ અજીત સી શાહે જણાવ્યું હતું કે,  'આઇટીઆર ફોર્મમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. એક મકાન ધરાવતા વ્યકિતગત કરદાતાએ આઇટીઆર-૧ જયારે એકથી વધુ મકાન ધરાવતા કરદાતાએ આઇટીઆર-ર ફાઇલ કરવાનું રહેશે. સેલ્ફ એમ્પ્લોઇડ કરદાતાઓએ તેમની ર૦૧૮-૧૯ ની આવક મુજબ આઇટીઆર-૩ કે ૪ ફાઇલ કરવાનું રહેશે. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવે તેવી પુરી શકયતા છે કારણ કે ટીડીએસ સર્ટિફીકેટ ઇસ્યુ થયા બાદ રિટર્ન ભરવા માટે બહુ ઓછો સમય ઉપલબ્ધ રહેશે. ઓડીટેડ રિટર્ન કે જે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ફાઇલ કરવાના છે તેના માટેની યુટીલીટી પણ ઉપલબ્ધ બની નથી. અનેક સંગઠનો રિટર્નની તારીખ લંબાવવા માંગ કરશે એ નકકી છે.'

(11:40 am IST)