મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

પશ્ચિમ રેલવેએ પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં ચક્રવાત તાઉતે દરમિયાન ચલાવી બે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો

ઉત્તર પ્રદેશ, હરિયાણા અને આંધ્ર પ્રદેશને લિકવિડ મેડિકલ ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરાયો

અમદાવાદ ; એકબાજુ જ્યારે ચક્રવાત તાઉતે તેની અસર બતાવી રહ્યું છે ત્યાં પશ્ચિમ રેલવે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તેની કર્તવ્યનિષ્ઠાનું પરિચય આપતા દેશમાં લિકવિડ મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું અવિરત પરિવહન કરવાનું ચાલુ રાખ્યું છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે માહિતી આપી હતી કે ચક્રવાત તાઉતેના પ્રચંડ વિનાશ વચ્ચે અમે દેશમાં લિકવિડ મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતને સુનિશ્ચિત કરતા આજે પણ રાજકોટ ડિવિઝનના કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલ સાઇડિંગ થી ઓખલા (દિલ્હી) માટે પાંચ લિકવિડ મેડિકલ ઓક્સિજન ટેન્કરથી લોડેડ ટ્રેન તથા આંધ્ર પ્રદેશના ગુંટુર માટે ચાર લિકવિડ મેડિકલ ઓક્સિજન ટેન્કરથી લોડેડ ટ્રેન ચલાવવામાં આવી જે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને આંધ્ર પ્રદેશને લિકવિડ મેડિકલ ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરશે. ઓક્સિજન એક્સપ્રેસમાં કુલ 168.43 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું.

 ઠાકુર ના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં તેની 36 ઓક્સિજન ટ્રેનો દ્વારા 3225.43 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન નું સપ્લાય સુનિશ્ચિત કર્યું છે.

(11:12 pm IST)