મુખ્ય સમાચાર
News of Tuesday, 18th May 2021

આવતીકાલે મંગળવારે સવારે ૧૧.૩૦ વાગે ભાવનગરમાં ખાસ મીટીંગ લેશે નરેન્દ્રભાઈ: તંત્ર દ્વારા સમુદ્રમાં અભૂતપૂર્વ કામગીરી અને અગમચેતી રખાતા એક પણ જાનહાનિ થઈ નથી, તે માટે ઓફિસરોને શાબાશી આપે તેવી સંભાવના

રાજકોટ: મોડીરાત્રે મળતા અહેવાલો મુજબ અલંગ ભાવનગર ખાતે અગમચેતી રાખી ત્વરિત પગલાં લેવાતા મહા વિનાશક વાવાઝોડામાં સમુદ્રમાં એક પણ જાનહાની થઇ નથી ત્યારે અધિકારીઓ, પોર્ટ ઓફિસરો, રાજકીય અગ્રણીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૧૫ મિનિટની પ્રથમ સમીક્ષા મિટિંગ યોજી શાબાશી આપી બિરદાવશે, તેમ આધારભૂત વર્તુળોએ અકિલાને જણાવ્યું છે. સત્તાવાર સમર્થન મેળવાઈ રહ્યું છે. ભાવનગરના પોર્ટ ઓફિસરોએ ખૂબ જ સુંદર કામગીરી કરી છે જ્યારે મહારાષ્ટ્રમાં આવી અગમચેતી નહીં રખાતા સમુદ્રમાં મોટી જાનહાનિ થયાનું બહાર આવ્યું છે. આ બાબતને હાઇલાઇટ કરવામાં આવે તેવી પણ સંભાવના છે. બિનસત્તાવાર અહેવાલો મુજબ સંભવતઃ રાજકોટ લેન્ડ કરી હેલીકોપ્ટર દ્વારા અથવા તો સીધા જ તેઓ ભાવનગર પહોંચશે. તેઓ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ આકલન, નિરીક્ષણ કરશે. એ પછી અમદાવાદ ખાતે સમીક્ષા બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપી, વિગતો મેળવશે અને બપોર પછી દિલ્હી જવા નરેન્દ્રભાઈ નીકળી જશે.

(10:34 pm IST)