દેશમાં ૧૫ દિવસમાં કોરોનાની ગતિ ઘટી, રિકવરી રેટ વધ્યો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી : કેરળમાં ૯૯,૬૫૧ કેસ રિકવર, માત્ર ૮ રાજ્યો એવા છે જ્યાં રોજ ૧૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે
નવી દિલ્હી, તા. ૧૮ : દેશમાં કોરોના મહામારીને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, ૩ મેએ રિકવરી રેટ ૮૧.૭ ટકા હતો, જે હવે વધીને ૮૫.૬ ટકા થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪,૨૨,૪૩૬ લોકો કોરોનાથી રિકવર થયા છે, જે દેશ માટે સૌથી વધુ છે. કોરોનાની રિકવરીમાં એક સ્પષ્ટ સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. તેની સાથે તેમણે કહ્યું કે, કોરોનાના ૧ લાખથી વધુ એક્ટિવ કેસ ૮ રાજ્યોમાં છે. ૧૦ રાજ્યોમાં ૫૦ હજારથી ૧ લાખ સક્રિય કેસ છે. તો ૫૦ હજારથી ઓછા સક્રિય કેસ વાળા ૧૮ રાજ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કેરલમાં ૯૯,૬૫૧ કેસ રિકવર થયા છે. માત્ર ૮ રાજ્યો એવા છે જ્યાં દરરોજ ૧૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ૨૬ રાજ્યો એવા છે જ્યાં રિકવરી દરરોજ નવા કેસ કરતા વધુ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવે કહ્યુ કે, ૭ મેએ દેશમાં ૪,૧૪,૦૦૦ કેસ સામે આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૬૩,૦૦૦ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં નવા કેસ ૩,૦૦,૦૦૦ થી ઓછા થઈ ગયા છે. ૭ મેએ આવેલા કેસના મુકાબલે આજના કેસ ૨૭ ટકા ઓછા છે. માત્ર ૬૯ ટકા કેસ ૮ રાજ્યોમાં છે. ૨૨ રાજ્યો એવા છે જ્યાં પોઝિટિવિટી ૧૫ ટકાથી વધુ છે. ૫-૧૫ ટકા પોઝિટિવિટી રેટ વાળા ૧૩ રાજ્યો છે. ૧ રાજ્યમાં ૫ ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ છે. દિલ્હીમાં સાપ્તાહિક પોઝિટિવિટી ૨૫ ટકાથી ઘટીને ૧૩.૬ ટકા થઈ ગઈ છે.
દેશમાં સાપ્તાહિક કેસ પોઝિટિવિટી રેટ ઘટીને ૧૬.૯ ટકા થઈ ગયો છે. જોકે પોઝિટિવિટી હવે ૧૪.૧૦ ટકા થઈ ગઈ છે. કોરોનાની જાણકારી આપતા કહ્યું કે, હજુ દેશની જનસંખ્યાના માત્ર ૧.૮ ટકા સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. અમેરિકામાં તે ૧૦.૧ ટકા, બ્રાઝિલમાં ૭.૩ ટકા, ફ્રાન્સમાં ૯ ટકા, રશિયામાં ૩.૪ ટકા અને ઇટાલીમાં ૭.૪ ટકા છે.