મોદીના હેલિકોપ્ટરની લીધી હતી તલાશી, લાપરવાહી બદલ ઓબ્ઝર્વર સસ્પેન્ડ
ભુવનેશ્વર/નવી દિલ્હી, તા.૧૮: ભારતીય ચૂંટણી પંચે ઓરિસ્સાની સંબલપુર સંસદીય સીટના જનરલ ઓબ્ઝર્વર મોહમ્મદ મોહસિનને સસ્પેન્ડ કર્યા છે. તેમની પર ડ્યૂટીમાં લાપરવાહ રહેવાનો આરોપ છે. નોંધનીય છે કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબલપુરમાં રેલી માટે પહોંચ્યા હતાં. તે સમયે ચૂંટણી પંચની એક ફ્લાઈંગ સ્કવોડે હેલિકોપ્ટરની તલાશી લીધી હતી.
સસ્પેન્શનના આદેશમાં ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ મોહસિને એસપીજી સુરક્ષા પ્રાપ્ત ગણમાન્ય વ્યકિતઓ માટે દિશા નિર્દેશોનું યોગ્ય પાલન નથી કર્યું. આ સસ્પેન્શન તાત્કાલીક અસરથી જ લાગુ કરવામાં આવ્યું છે. મોહમ્મદ મોહસિનને હવે પછીના નિર્ણય સુધી સંબલપુરમાં જ રોકાવાનો આદેશ આપ્યો છે.
મોહસિન કર્ણાટક કેડરના આઈએએસ ઓફિસર છે. ભારતીય ચૂંટણી પંચ દરેક સંસદીય વિસ્તારમાં સામાન્ય ઓબ્ઝર્વરની નિયુકિત કરે છે. જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થઈ શકે. પારદર્શિતા અન સ્થાનીક પ્રશાસનથી અંતર સુનિશ્યિત કરવા માટે ઓબ્ઝર્વર હંમેશા રાજયના બહારના જ અધિકારી હોય છે.
તાજેતરમાં જ ચૂંટણી પંચની ટીમે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને ઓરિસ્સાના સીએમ નવીન પટનાયકના હેલિકોપ્ટર્સની પણ તલાશી લીધી હતી.