છત્તીસગઢમાં CRPFની પેટ્રોલિંગ ટૂકડી પર નક્સલીઓનો હુમલો :એક જવાન શહીદ: પાંચ ગંભીર:સર્ચ ઓપરેશન શરૂ
તમામ ઘાયલ જવાનોને ઈલાજ માટે હેલીકોપ્ટરમાં રાયપુર લઈ જવાયા
નવી દિલ્હીઃ છત્તીસગઢના અરનપુર વિસ્તારમાં નકસલવાદીઓએ ફરી વાર CRPFના જવાનોને નિશાન બનાવી હુમલો કર્યો છે. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે અને 5 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલ જવાનોને ઈલાજ માટે હેલીકોપ્ટરમાં રાયપુર લઈ જવાયા છે. હુમલો કરનારા નકસલવાદીઓને શોધવા માટે CRPF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
CRPFના વરિષ્ઠ અધિકારકીના જણાવ્યા અનુસાર, નક્સલવાદી હુમલામાં ઘાયલ થયેલા તમામ જવાન CRPFની 31મી બટાલિયનમાં તૈનાત છે. આ તમામ જવાનને અરનપુર (દાંતેવાડા)ની કમલપોસ્ટ વિસ્તારમાંથી પસાર થતા રોડની સુરક્ષા સોંપાઈ હતી. સોમવારે સાંજે લગભગ 4.25 કલાકે CRPFની આ ટૂકડી પેટ્રોલિંગમાં નિકળી હતી. આ દરમિયાન થયેલા જોરદાર વિસ્ફોટમાં CRPFના 6 જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.
આ બ્લાસ્ટ પછી તરત જ ઘાત લગાવીને બેસેલા નક્સલીઓએ CRPFના જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સામ-સામા ગોળીબાર બાદ નક્સલવાદીઓ તક મળતાં ફરાર થઈ ગયા હતા.