મનોહર પર્રિકરના નિધન બાદ કોણ બનશે નવા મુખ્યપ્રધાન?
ગોવાના સત્તાધારી પક્ષ બીજેપીએ સાથી પક્ષો સાથે મળી શરૂ કરી નવા નેતાની શોધ
પણજી તા. ૧૮ : ગઈ કાલે લાંબી માંદગી બાદ ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના નિધન બાદ સત્તાધારી પક્ષ બીજેપીએ નવા નેતાની શોધ માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે. પર્રિકર રાજયમાં બીજેપી, ગોવા ફોર્વર્ડ પાર્ટી, એમજીપી અને અપક્ષોના ટેકાથી સરકાર ચલાવતા હતા. પર્રિકરના નિધન બાદ રાજયમાં વિધાનસભાની કુલ ચાર બેઠકો પર પેટાચૂંટણી થશે.
પર્રિકર પોતે પણજી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ૨૩ એપ્રિલના રોજ લોકસભાની સાથે રાજયમાં શિરોડા, માન્ડ્રેમ અને માપુસા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થવાની છે.
પર્રિકરના નિધન બાદ સત્તાધારી પક્ષે ફરી એક વાર રાજયપાલ સમક્ષ નવેસરથી રજૂઆત કરવી પડશે. જો રાજયપાલને ભરોસો નહીં બેસે તો રાજયમાં સૌથી વધુ બેઠક ધરાવનાર કોંગ્રેસને પણ સરકાર રચવા માટે આમંત્રણ આપી શકે છે.