આસારામ આશ્રમ ફરી વિવાદમાં: જોધપુરમાં સેવક યુવાનની લાશ મળીઃ ચકચાર
બહુચર્ચિત આસારામના આશ્રમના વિવાદમાં વધુ અેક પ્રકરણનો ઉમેરો થયો છે. જોધપુર ખાતે આવેલ આસારામના આશ્રમમાં અેક સેવકની લાશ મળતા ચકચાર જાગી છે.
આ અંગેની વિગતો મુજબ આસારામના જોધપુર આશ્રમમાં સેવક યુવકનું શબ ગુરુવારે આશ્રમમાંથી મળ્યું છે. જાણકારી મુજબ સેવક કથિત રીતે ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જે વ્યક્તિની લાશ મળી છે તેનું નામ અમિત યાદવ છે. 23 વર્ષીય અમિત હરિયાણાના રેવાડીનું નિવાસી છે. અમિત યાદવ ગત કેટલાક વર્ષોથી આ આશ્રમમાં સેવાદાર તરીકે કામ કરી રહ્યો હતો. પોલીસના કહેવા મુજબ અમિતે આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં તેણે પોતાની આત્મહત્યા માટે કોઇને પણ જવાબદાર નથી ગણાવ્યા. પણ અમિતના પિતાનું કહેવું છે કે તે લાંબા સમયથી પોતાના પુત્રને ઘરે પાછા લઇ જવા માટે ઇચ્છતા હતા.
પણ આશ્રમવાળા તેમને પોતાના પુત્રને પાછો ઘરે લઇ જવા નહતા દેતા. અને હવે તેમને તેમના પુત્રનો મૃતદેહ મળી આવતા તેમનો પરિવાર આ માટે આશ્રમને જવાબદાર ગણાવી રહ્યો છે. પોલીસે શરૂઆતી તપાસમાં જાણ્યું છે કે અમિત આશ્રમના એક ભાગમાં રહેતો હતો. અને ત્યાં જ રહી પૂજાપાઠ કરતો હતો. ગુરુવારે જ્યારે નિયત સમય કરતા લાંબા સમય સુધી અમિત તેના રૂમમાંથી બહાર ના નીકળ્યો તો લોકોએ તેના રૂમનો દરવાજો તોડ્યો હતો. અને અંદરથી તેની ફાંસી પર લટકેલી લાશ મળી હતી. જેના પછી આશ્રમ તરફથી પોલીસને જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું આ પહેલા પણ આશ્રમમાંથી સેવાદાર યુવકોની મોત થઇ હોવાની ઘટનાઓ સામે આવી છે. ભોપાલમાં પણ આસારામના આશ્રમમાં એક સેવાદારે આત્મહત્યા કરી હતી. વધુમાં આસારામે 2008-2009માં 2300 કરોડ કરતા વધુ બેનામી સંપત્તિ ભેગી કરવાનો પણ આરોપ છે. નોંધનીય છે કે, બળાત્કારના આરોપસર આસારામ હાલ જેલમાં સજા ભોગવી રહ્યા છે.