મોહન ભાગવતનાં નિવેદન પર એનસીપીના નેતા નવાબ મલિકે પૂછ્યું શું બળજબરી નસબંદી કરાવવા માંગો છો?
વસ્તી નિયંત્રણ અંગેનાં કાયદા મહારાષ્ટ્ર અને અન્ય ઘણા રાજ્યોમાં પહેલાથી અસ્તિત્વમાં છે.
મુંબઈ : આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનાં બે બાળકોવાળા કાયદાની હિમાયત કરવા અંગે, મહારાષ્ટ્ર સરકારનાં મંત્રી નવાબ મલિકે સવાલ ઉઠાવતા પુછ્યું છે કે તેના પરિણામો શું આવ્યા છે, ઇતિહાસ જુઓ. એનસીપી નેતા મલિકે કહ્યું કે શું તેઓ નસબંદી માટે દબાણ કરવા માગે છે? નવાબ મલિકે એમ પણ કહ્યું હતું કે વસ્તી નિયંત્રણ અંગેનાં કાયદા મહારાષ્ટ્ર અને અન્ય ઘણા રાજ્યોમાં પહેલાથી અસ્તિત્વમાં છે.
નવાબ મલિકે કહ્યું કે, મોહન ભાગવત બે બાળકોનો કાયદાની વાત કરે છે. તેઓ જાણતા નથી કે મહારાષ્ટ્ર પહેલાથી જ તેનાથી સંબંધિત એક કાયદો ધરાવે છે, અન્ય ઘણા રાજ્યોમાં પણ કાયદાઓ છે. જો મોહન ભાગવત બળજબરીથી નસબંદીનો કાયદો લાવવા માંગે છે, તો નરેન્દ્ર મોદીને તેના પર કાયદા બનાવવા દો. ભૂતકાળમાં આવા પ્રયત્નોનાં કેવા પરિણામો મળ્યાં છે તે આપણે બધાએ જોયું છે. નવાબ મલિકે ઇમરજન્સી દરમિયાન દબાણપૂર્વક નસબંધી કરવા તરફ ઇશારો કર્યો હતો, જેના કારણે તે યુગમાં અરાજકતા અને ભય પેદા થયો હતો.
તાજેતરમાં જ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, સંઘની આગામી યોજના બે બાળકનો કાયદો બનાવવાનું છે. વસ્તી વૃદ્ધિ સમસ્યાઓનું કારણ બની રહી છે અને સંઘનું માનવું છે કે બે બાળકોનો કાયદો હોવો જોઈએ. જોકે, કેન્દ્ર સરકારે આ અંગે નિર્ણય લેવો પડશે. કેન્દ્રએ એક કાયદો બનાવવો જોઈએ જે વસ્તી નિયંત્રણને મંજૂરી આપે. મોહન ભાગવતનાં આ નિવેદન પછી તેની તરફેણ અને વિરોધમાં ઘણી વાતો કહેવામાં આવી રહી છે.