મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

દેશની પ્રથમ ખાનગી ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' માં મુસાફરો નહિ મળતા બે રૂટ બંધ કરવા નિર્ણય

દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઇ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ ટ્રેનોને અનિશ્ચિત કાળ માટે સ્થગિત

નવી દિલ્હી : દેશની પ્રાઇવેટ ટ્રેનને મંદીનું ગ્રહણ લાગ્યુ છે અને અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલનારી તેજસ એક્સપ્રેસનું સંચાલન 24 નવેમ્બરથી બંધ થઇ જશે.દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઇ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ ટ્રેનોને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ તેજસને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

 દિલ્હીથી લખનૌ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસનું સંચાલન 23 નવેમ્બરથી બંધ થશે અને અમદાવાદ-મુંબઇ વચ્ચેની તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બરથી બંધ થશે.આ બંને રૂટ પર દોડતી રેલવેની અન્ય ટ્રેનોમાં યાત્રીની સંખ્યાની સમીક્ષા કર્યા બાદ IRCTC તેજસને ફરીથી ચલાવવા અંગે નિર્ણય લેશે. આ ટ્રેનમાં કુલ 736 સીટ છે. પરંતુ આ સમયે તેમાં માત્ર 25%-40% સીટ્સ જ બુક થઈ રહી હતી. જ્યારે લોકડાઉન પહેલાં તેમાં 50%થી 80% સીટ બુક થઈ જતી હતી.

 કોરોના દરમ્યાન આ ટ્રેન બંધ કરાયા બાદ ટ્રેન ફરી ચાલુ કરાઈ હતી પણ મુસાફરો નહિ મળતા ટ્રેન ખોટ કરી રહી હતી.

 આ વર્ષે દિવાળી જેવા તહેવાર માં પણ તેજસમાં સીટ્સ ખાલી રહી હતી. વધારે ભાડું હોવાને કારણે લોકો ટ્રેનને બદલે ફ્લાઇટમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

IRCTCએ ગયા વર્ષે દિલ્હી-લખનઉ 4 ઓક્ટોબરથી અને મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ 19 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી. આમ ફ્લાઇટ જેવું તગડું ભાડું ધરાવતી આ ટ્રેન માં મુસાફરો નહિ મળતા હવે બે રૂટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

(9:40 pm IST)