યુપીમાં ઉન્નાવ ટ્રાંસ ગંગા સિટીની જમીન વળતરની માંગ લઈને ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર બન્યું : પોલીસનો લાઠીચાર્જ
જેસીબી અને ગાડીઓ પર પથ્થરમારો : સીઓ સહિત ચાર સિપાહી ઘાયલ :અન્ય વાહનોમાં તોડફોડ :
લખનૌ : ઉત્તર પ્રદેશ રાજ્ય ઔદ્યોગિક વિકાસ ઓથોરિટીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ઉન્નાવ ટ્રાંસ ગંગા સિટીની જમીનના વળતરની માંગને લઈ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે.ખેડૂતોએ જેસીબી અને ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો જેથી પોલીસને બોલાવવી પડી હતી. ટ્રાંસ ગંગા સિટી પ્રોજેક્ટ માટે કામ કરી રહેલા જેસીબી અને અન્ય વાહનોની ખેડૂતો દ્વારા તોડફોડ કરવામાં આવતા 13 થાણાની પોલીસોએ ત્યાં પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો
વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ વધારે ઉગ્ર થઈને પથ્થરમારાનો સહારો લીધો હતો જેથી સીઓ સહિત ચાર સિપાહી ઘાયલ થયા હતા. ત્યાર બાદ આદેશ મળતા જ તેમને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીઅર ગેસનો સહારો લેવો પડયો હતો અને ખેડૂતોના ટોળાને વેર-વિખેર કર્યા હતા
. જિલ્લાધિકારી દેવેન્દ્ર પાંડેના કહેવા પ્રમાણે ખેડૂતોને તેમની જમીનનું વળતર ચુકવાઈ ગયું છે પરંતુ ખેડૂતોનું જૂથ પોતાના સ્વાર્થ માટે અન્ય લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. સમગ્ર ઘટનાક્રમને લઈ વાતાવરણમાં ભારે તણાવ વ્યાપ્યો છે અને એક તરફ ખેડૂતો લાકડીઓ લઈને અડગ છે તો સામે સશસ્ત્ર પોલીસ દળ પોતાના મોર્ચા સાથે તૈનાત છે.