મુખ્ય સમાચાર
News of Saturday, 17th November 2018

નિરવ મોદી ૩ મહિના સુધી ભારત આવશે નહીં :રિપોર્ટ

નિરવ મોદીએ ભારત ન ફરવા બહાનું બનાવ્યું ઃભારત તરફથી ચોકસીના પ્રત્યાર્પણ માટે બે અલગ અલગ અનુરોધ કરવામાં આવી ચુક્યા :ઈડી પૂછપરછ કરી શકે

મુંબઈ, તા.૧૭ :પીએનબી ફ્રોડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતમાં પરત નહીં ફરવાનો સંકેત આપી દીધો છે. મેહુલ ચોકસીએ કહ્યું છે કે તેઓ ત્રણ મહિના સુધી ભારત આવી શકવાની સ્થિતિમાં નથી. તેમના વકીલે મુંબઈની એક કોર્ટમાં કહ્યું છે કે ચોકસી યાત્રા કરવા માટે સંપૂર્ણપણે સ્વસ્થ નથી. ઈડીએ કોર્ટ સમક્ષ ચોકસીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાની અપીલ કરી છે. સુનાવણી દરમિયાન વકીલે સાફ શબ્દોમાં કહ્યું છે કે ચોકસી સ્વસ્થ દેખાતા નથી. જેથી તેમનું નિવેદન વીડિયો કોન્ફરન્સીંગ મારફતે રેકોર્ડ કરવામાં આવે તે જરૃરી છે અથવા તો ઈડીના અધિકારીઓ એન્ટીગુવા આવીને આની નોંધણી કરી શકે છે. વકીલે એમ પણ કહ્યું છે કે મેહુલ ચોકસી હાલમાં સ્વસ્થ નથી અને ત્રણ મહિના સુધી ભારત આવવાની સ્થિતિમાં નથી. ભારત સરકારને તથા તપાસ સંસ્થાઓને હજુ રાહ જોવી પડશે. જો ઉતાવળ થઈ તો ઈડીના અધિકારીઓ એન્ટીગુવા આવી શકે છે અને નિવેદન નોંધી શકે છે. વકીલે એમ પણ કહ્યું છે કે જો તેમની તબિયતમાં સુધારો થશે તો નિવેદન નોંધાવવા માટે ચોકસી ભારત આવશે. આજે એક રિપોર્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. અત્રે નોંધનિય છે કે આ વર્ષે ઓકટોરમાં ઈડીએ ૧૩ હજાર કરોડના લોન ફ્રોડ મામલાની તપાસ દરમિયાન ૧૧૮ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં હીરા અને વિદેશમાં ફ્લેટ સામેલ છે. કેન્દ્રિય તપાસ એજન્સીની મુંબઈ સ્થિત ક્ષેત્રિય ઓફિસ તરફથી પીએમએલએ હેઠળ સંપત્તિને જપ્ત કરવા માટે ત્રણ પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા. અત્રે નોંધનિય છે કે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ભારતીય તપાસ સંસ્થાઓ જુદા જુદા વિકલ્પો ઉપર કામ કરી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં એન્ટીગુવા અને બારબુડાના વિદેશ મંત્રીએ સુષ્મા સ્વરાજને ખાતરી આપી હતી કે ત્યાંની સરકાર આ મામલામાં  સંપૂર્ણપણે સહકાર આપશે. ભારત તરફથી ચોકસીના પ્રત્યાર્પણ માટે બે જુદી જુદી અપીલ કરવામાં આવી ચુકી છે. એક સીબીઆઈ તરફથી અને બીજી ઈડી તરફથી અપીલ કરવામાં આવી ચુકી છે. એમ કહેવામાં આવે છે કે હીરા કારોબારીએ એન્ટીગુવાની નાગરિકતા હાંસલ કરી લીધી છે. જેનાથી તેઓ પોતાના કારોબારને આ કેરેબિયન દેશમાં વધારી શકે છે. સાથે સાથે ૧૩૦થી વધારે દેશોમાં કોઈપણ અંકુશ વગર ફરવાની મંજુરી મળી શકે છે. એન્ટીગુવામાં મેહુલના વકીલે નિવેદન જારી કરીને કહ્યું છે કે તેમના ક્લાઈન્ટ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને એન્ટીગુવા અને બારબુડાના નાગરિક તરીકે નોંધણી કરાવી ચુક્યા છે. નિરવ મોદીની સાથે મેહુલ ચોકસી અને તેમના પરિવારના સભ્યો ૧૨૬૩૫ કરોડ રૃપિયાના મહાકાય પીએનબી ફ્રોડમાં આરોપી તરીકે છે. આ મામલો ગયા વર્ષે સપાટી ઉપર આવ્યો હતો. ચોકસી હવે દેશની બહાર છે અને સતત કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોકસી અને નિરવ મોદી ઉપર સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે.

ચોકસી હવે દેશની બહાર છે. તેમના તરફથી સતત કહેવામાં આવી રહ્યું છે કે ભારત પરત ફર્યા બાદ તેમની જાનને ખતરો હોઈ શકે છે. મેહુલ ચોકસી અને નિરવ મોદી ઉપર સકંજો દિન પ્રતિદિન વધુને વધુ મજબૂત કરવામાં આવી રહ્યોછે.

 

(7:45 pm IST)