17 નવેમ્બર : હિન્દૂ હૃદય સમ્રાટ,શિવસેનાના સ્થાપક,સ્વ.બાલ ઠાકરેની આજ પુણ્યતિથિ :
મુંબઈ : હિન્દૂ હૃદય સમ્રાટ,શિવસેનાના સ્થાપક,સ્વ.બાલ ઠાકરેની આજ 17 નવેમ્બરના રોજ પુણ્યતિથિ છે.તેમનો જન્મ 23 જાન્યુઆરી 1926 ના રોજ થયો હતો. મુંબઈના ફ્રી પ્રેસ જર્નલમાં તેમણે કાર્ટૂનિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી હતી.બાદમાં ત્યાંથી છુટા થઇ તેમણે 1960 ની સાલમાં માર્મિક નામક સાપ્તાહિક શરૂ કર્યું હતું.મહારાષ્ટ્રમાં મરાઠીઓને દરેક ક્ષેત્રે અગ્રતા અપાવવા તેમણે શિવ સેનાની સ્થાપના કરી હતી.તથા તેના અનુયાયીઓ શિવસૈનિક તરીકે ઓળખાતા હતા.જેઓ બાલ ઠાકરેની એક જ હાકલથી લાખોની સંખ્યામાં રોડ ઉપર ઉતરી આવતા હતા.આમચી મુંબઈ એ તેમનું સૂત્ર હતું.આ સેનાએ પ્રખર હિન્દુત્વવાદી તરીકે વિખ્યાત થઇ હોવાથી મુસ્લિમોના કટ્ટર વિરોધી ગણાતી હતી.સ્વ.ઠાકરેએ રાજકીય રીતે કોઈપણ હોદ્દો સ્વીકાર્યો ન હોવા છતાં મુંબઈના રાજકારણમાં તેમનું પૂરેપૂરું વર્ચસ્વ હતું.તેમણે મરાઠી ભાષામાં સામના નામક દૈનિક શરૂ કર્યું હતું.જેમાં તેઓ તીખા તમતમતા અગ્રલેખ લખતા હતા.ધર્મના નામે મત માટે પ્રચાર કરવા બદલ તેઓને ચૂંટણી પંચે 6 વર્ષ માટે મત આપવા તથા ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.રાજકીય દેખાવો બદલ તેઓ અનેક વખત જેલમાં જઇ આવ્યા હતા.17 નવે.2012 ના રોજ તેમનું અવસાન થયું.તેમને રાજકીય સન્માન સાથે અગ્નિદાહ અપાયો.જેમાં મુંબઈવાસીઓ વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા.