અફઘાનના શિયા મુસ્લિમોને ગમે ત્યાં ટાર્ગેટ બનાવવા ઈસ્લામિક સ્ટેટની ચેતવણી
કંદહાર હુમલામાં ૬૦નાં મોત થયા હતા : તાલિબાને અફઘાનિસ્તાન પર કરેલા કબ્જા બાદ દેશના અલગ અલગ હિસ્સામાં ઈસ્લામિક સ્ટેટ હુમલા કરી રહ્યુ છે
કંદહાર,તા.૧૭ : ખૂંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે અફઘાનિસ્તાનમાં રહેતા શિયા મુસ્લિમોને ચેતવણી આપી છે કે, તમે જ્યાં પણ હશો ત્યાં તમને ટાર્ગેટ બનાવીશું.
બે દિવસ પહેલા જ ઈસ્લામિક સ્ટેટે કંદહાર પ્રાંતમાં શુક્રવારની નમાજ દરમિયાન શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો કર્યો હતો.જેમાં ૬૦ લોકોના મોત થયા હતા.જ્યારે ૮૦થી વધારે ઘાયલ થયા હતા. તાલિબાને અફઘાનિસ્તાન પર કરેલા કબ્જા બાદ દેશના અલગ અલગ હિસ્સામાં ઈસ્લામિક સ્ટેટ હુમલા કરી રહ્યુ છે.
શનિવારે કંદહારમાં આવેલી મસ્જિદમાં હુમલામાં આત્મઘાતી હુમલાખોરો મસ્જિદમાં ઘુસ્યા હતા અને તેમણે નમાજ પઢવા ભેગા થયેલા લોકોની વચ્ચે જઈને વિસ્ફોટ કર્યો હતો.એ પછી સામે આવેલા વિડિયોમાં મસ્જિદમાં મૃતદેહો વીખરાયેલા જોઈ શકાયા હતા. આ પહેલા કુંદુજ પ્રાંતમાં આવેલી મસ્જિદમાં પણ આ રીતે બોમ્બ બ્લાસ્ટ કરાયો હતો અને તેમાં પણ ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા.