નેપાળ-બાંગ્લાના રસ્તે ઘુસણખોરીના પ્રયાસો
દિલ્હી અને યુપી પર વિશેષ નજર
નવી દિલ્હી, તા.૧૭ : કાશ્મીર પર પોતાના નાપાક ઇરાદાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાને હવે ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ત્રાસવાદીઓ મારફતે માહોલ ખરાબ કરવાની તૈયારી કરી લીધી છે. ઇન્ટેલીજન્સ સંસ્થાઓને હાથ લાગેલી માહિતી મુજબ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરીને દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં દહેશત ફેલાવી શકે છે. આત્મઘાતી હુમલાખોરો હુમલાના પ્રયાસ કરી શકે છે. સાથે સાથે આતંકવાદીઓ સશસ્ત્રદળોના ટ્રેનિંગ અને ભરતી સેન્ટર પર હુમલા કરી શકે છે.
આ આતંકવાદીઓને ઓવરગ્રાઉન્ડ વર્કરો પંજાબ અથવા જમ્મુ કાશ્મીરથી હથિયાર અને અન્ય ચીજો ઉપલબ્ધ કરાવી શકે છે. ઇન્ટેલીજન્સ સંસ્થાઓ માને છે કે, અયોધ્યામાં રામ મંદિરને લઇને આવી રહેલા ચુકાદાના બહાને પાકિસ્તાન ઉત્તરપ્રદેશમાં ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરી શકે છે. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાદથી ત્રાસવાદીઓ કાશ્મીર અને મેટ્રોસિટીને ટાર્ગેટ બનાવવાના પ્રયાસ કરી ચુક્યા છે પરંતુ હવે જે માહિતી મળી રહી છે તે મુજબ તેમની નજર ઉત્તરપ્રેદશમાં છે.