મુખ્યમંત્રીની જ ગાડીનો વીમો નથી એવા સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ ખોટા : નકલી ફોટો-લખાણ દ્વારા ગુજરાતની જનતાને ભરમાવવાનું કારસ્તાન
સીએમ એટલે કોમન મેન રૂપાણી પણ ટ્રાફિક નિયમો અનુસરે છે: ટ્રાફિક નિયમો અંગે અફવા ન ફેલાવવા કે કોઈપણ પ્રકારનાં ખરાઈ કર્યા વિનાના સંદેશા સત્ય ન માનવા અપીલ
અમદાવાદ :મુખ્યમંત્રીની જ ગાડીનો વીમો નથી એવા સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ માત્ર અફવા છે અને નકલી ફોટો-લખાણ દ્વારા ગુજરાતની જનતાને ભરમાવવાનું કારસ્તાન છે લોકોને ટ્રાફિક નિયમો અંગે અફવા ન ફેલાવવા કે કોઈપણ પ્રકારનાં ખરાઈ કર્યા વિનાના સંદેશા સત્ય ન માનવા અપીલ કરાઈ છે
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારી કાર નં. GJ18G9085નો વીમો પૂરો થઈ ગયો છે તેમને પણ ટ્રાફિક નિયમો ન પાળવા બદલ દંડ થવો જોઈએ. શું કાયદા ફક્ત સામાન્ય માણસ માટે જ છે? આ પ્રકારનો એક મેસેજ ફોટોગ્રાફ્સ સાથે સોશિયલ મીડિયામાં કેટલાંક અસામાજિક તત્વો દ્વારા વાઈરલ કરવામાં આવ્યો છે જે તદ્દન ખોટો છે. સૌ પ્રથમ તો ગુજરાતની ભોળી-ભલી પ્રજાને આવા અફવા ફેલાવનારા અને અરાજકતા ઉભી કરનારા ખરાઈ વિનાના ખોટા ફોટો-મેસેજને સત્ય ન માની લેવા વિનંતી છે
. હકીકત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત સરકારની સ્કોર્પિયો ગાડી નં. GJ18G9085 ઉપયોગ કરે છે તે ગાડી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસનાં નામે નોંધાયેલી છે અને તેનો વીમો ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી વેલીડ છે. તેની ફિટનેશ પણ ૧૦ એપ્રિલ ૨૦૨૯ સુધીની છે. સોશિયલ મીડિયામાં જે મેસેજ ફોટોગ્રાફ્સ સાથે વાઈરલ કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. આપ ખુદ ઓનલાઈન એપ્લીકેશન-વેબસાઈટ પર મુખ્યમંત્રીશ્રીની ગાડીનો નંબર નાખીને ચકાસી શકો છો કે તે ટ્રાફિકનાં સંપૂર્ણ નિયમોનું પાલન કરે છે. આજકાલનાં નહીં અગાઉથી જ વિજયભાઈ ટ્રાફિકનાં સંપૂર્ણ નિયમોનું પાલન કરતા આવ્યા છે અને તેના ચુસ્ત અમલમાં પણ માને છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમ જાહેર કરતા સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ટ્રાફિકનાં નવા નિયમો રાજનેતા કે વીઆઈપી સહિત તમામ આમ ઔર ખાસ વ્યક્તિઓને લાગુ પડશે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં અકસ્માત ઘટે અને લોકોનો જીવ બચે એ હેતુસર અમલમાં મૂકેલા કડક ટ્રાફિક નિયમોથી કેટલાંક લોકોનાં પેટમાં તેલ રેડાયું છે. કેટલાંક અસામાજિક તત્વો સહિત કોંગ્રેસ ટ્રાફિકનાં નવા નિયમોને લઈ ભોળી-ભલી પ્રજાને ભડકાવવાનાં ષડ્યંત્ર રચી રહ્યાં છે જે બદલ તેઓ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી અરાજકતા ફેલાવવા ઈચ્છે છે. તેથી ગુજરાતની પ્રજાને વિનંતી છે કે, આવી એક પણ પ્રકારની અફવા કે ખબરોની ચકાસણી વિના તેને સત્ય માનશો નહીં. નવા મોટર વ્હીકલ એક્ટ અંગે કેટલાંક વાહનચાલકોમાં થોડોઘણો રોષ છે એવો તાગ મેળવી વિરોધ પક્ષ અને વિકૃતો વ્યક્તિઓ નવા ટ્રાફિક નિયમો અંગે પ્રજાને ગેરમાર્ગે દોરી ભડકાવવાનું કામ કરી રહ્યાં છે.