વિકાસમાં લોકોને ભાગીદાર બનાવી મોદીજીએ જીત્યો ભરોસો
અતિ વિકટ સમસ્યાઓમાં દેશવાસીઓની મનોદશાને અનુરૂપ નિર્ણયો કરીને નરેન્દ્રભાઈએ સફળતાની કેડી કંડારી હોવાનો મત : વડાપ્રધાનના જન્મદિને વિશ્વાસુ સાથીદાર ગૃહમંત્રી અમિત શાહે નરેન્દ્રભાઈની આલેખી યશગાથા
નવી દિલ્હી, તા. ૧૭ : સતત ત્રણવાર ગુજરાતના મુખ્યમંત્રી અને લગાતાર બીજીવાર દેશના વડાપ્રધાન બની નરેન્દ્રભાઈ મોદીએ પોતાની રાજકીય અને વહીવટી કુશળતાનો પરિચય દેશવાસીઓ જ નહી પરંતુ સમગ્ર દુનિયાને કરાવ્યો જ છે. સાથોસાથ પાર્ટી માટે કામ કરવા ઉપરાંત પોતાની સંગઠન શકિત તથા કુશળ રાજનીતિનો પરિચય પણ કરાવ્યો છે જેના ફળસ્વરૂપે આજે ભારતીય જનતા પાર્ટી આજે સર્વોચ્ચ શિખરે પહોંચી છે. આજે વડાપ્રધાનના જન્મ દિવસે તેમના અત્યંત વિશ્વાસુ સાથીદાર અમિતભાઈ શાહે ઉપરોકત વાત એક વિશેષ આલેખન દ્વારા જણાવી છે.
ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે ચોક્કસ વાતો સ્પષ્ટપણે જણાવતા ઉમેર્યુ છે કે સત્તામાં કોઈ પણ હોય પરંતુ તેને જનસમર્થન ત્યારે જ મળે છે જ્યારે શાસનમાં સામાન્ય નાગરીકોને પણ ભાગીદાર બનાવી વિકાસની કેડી પર આગળ વધવામાં આવે.
મોદીજીની લોકો સાથે સંવાદ કરવાની શૈલી જ લોકોને જનભાગીદારીમાં જોડવા માટેની મુખ્ય ભૂમિકા છે.
ગૃહમંત્રીના જણાવ્યા મુજબ નરેન્દ્રભાઈ મોદીની એ જ ખાસિયત છે કે ગમે તેવી કપરી સમસ્યાઓ હોય પરંતુ તેમા લોકોની મનોદશાને અનુરૂપ ઢાચો તૈયાર કરીને રજુ કરવાના કારણે તેઓ સફળતા મેળવે છે. લોકો તેમની આ ખાસિયત પર સંપૂર્ણ ભરોસો કરે છે.
તેમણે મોદી શાસનની વિશેષતા અંગે કહ્યુ છે કે સુંદર વિકાસ ત્યારે જ સંભવ છે જ્યારે તેમા લોકોની ભાગીદારીને જોડવામાં આવે. કલમ ૩૭૦ના મુદ્દે વિશ્વસ્તરે ભારતની શાખ જે રીતે વધી છે તે તેમની કાર્યશૈલીની જ વિશેષતા છે. આ મામલે પાકિસ્તાનના કકળાટને એક બાજુ હડસેલીને સમગ્ર વિશ્વ બિરાદરી ભારત સાથે ઉભી રહી તે સૌથી મોટી રણનીતિની સફળતા રહી છે.
વડાપ્રધાનના જન્મ દિવસે અમિત શાહે સ્પષ્ટ જણાવ્યુ છે કે ૧૯૮૭માં નરેન્દ્રભાઈને ભાજપે ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી બનાવ્યા ત્યારે ગુજરાતમાં ભાજપના માત્ર ૧૨ ધારાસભ્યો હતા. તેમની રણનીતિના કારણે ૧૯૯૦માં ભાજપ ૬૭ બેઠકો પર વિજયી બની અને ત્યાર બાદ ૧૯૯૫માં એ સમય પણ આવ્યો કે ભાજપે ૧૨૧ બેઠકો પ્રાપ્ત કરીને સંપૂર્ણ બહુમત પ્રાપ્ત કર્યા.
શ્રી શાહના જણાવ્યા મુજબ ૧૯૯૫થી આજ સુધી ગુજરાતમાં ભાજપ અજેય રહી છે. સતત ત્રણવાર તેઓ મુખ્યમંત્રી પદે રહ્યા તે દરમ્યાન મોદીજીએ ગુજરાતમાં એક સુંદર નવુ મોડલ રજુ કરીને નવુ કિર્તીમાન સ્થાપિત કર્યુ.
૨૦૧૪ની લોકસભા ચૂંટણી દેશભરમાં ચર્ચામાં રહી જ્યારે નરેન્દ્રભાઈ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બન્યા ત્યારે તેમણે પાર્ટીને રાષ્ટ્રીય કક્ષાએ એક નવી ઉંચાઈ ઉપર મુકી જેના આધાર ઉપર આજે દેશમાં જ નહી પરંતુ દુનિયામાં સૌથી મોટી પાર્ટીનું બિરૂદ ભાજપે હાંસલ કર્યુ છે.
ગૃહમંત્રીશ્રીના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીજીના જન્મ દિવસને ‘સેવા સપ્તાહ' તરીકે ઉજવવાનું નક્કી કરાયુ છે. ૧૪ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર દરમ્યાન ‘સ્વચ્છતા જ સેવા ' સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુકિત, જળ સંરક્ષણ અને સંવર્ધન માટે સુંદર કામગીરી થશે.
ગૃહમંત્રીના જણાવ્યા મુજબ નાની ઉપરથી જ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત રહેલા મોદીજીએ શોષિત વર્ગો માટેના કામ પર વધુ ધ્યાન આપ્યુ છે કેમ કે તેઓએ પણ અતિગરીબ પરિવારમાં બાળપણ ગુજાર્યુ છે મને પણ મોદી નેતૃત્વમાં સંગઠનનું કામ કરવાનો મોકો મળ્યો છે મને તેમની પાસેથી ઘણુ શિખવાનુ મળ્યુ છે.
મોદી એવા નેતા રહ્યા છે કે તેમણે ૨૦૦૧મા મુખ્યમંત્રી બન્યા તરીકે કોઈપણ જાતની ચૂંટણી લડી ન હતી પરંતુ પ્રદેશની કમાન સંભાળતાની સાથે જ વિકાસના કામોને ગતિ તો આપી પરંતુ અસંભવ કાર્યોને પણ મોદીજીએ સંભવ કરી બતાવ્યા છે.
મોદીજીએ ગુજરાતમાં ઘેર ઘેર ૨૪ કલાક વિજળી, સબ કા સાથ સબ કા વિશ્વાસ, પરિવારવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણને ખતમ કરવાનો સંકલ્પ દર્શાવીને આ પ્રશ્ને જબરદસ્ત સફળતા પણ મેળવી છે.
શ્રી શાહના જણાવ્યા મુજબ દેશમાં ભ્રષ્ટાચાર મુકત શાસન અને પારદર્શી રાજનીતિની શરૂઆત મોદીજીએ કરી છે. દેશને કોરી ખાતી સંખ્યાબંધ સમસ્યાઓ વટભેર નિર્ણયો કરતા સુંદર પરિણામો પણ મળ્યા છે.
કલમ ૩૭૦ના મુદ્દે વિશ્વસ્તરે ભારતની જે શાખ ઉભરી છે તે માટે વડાપ્રધાન મોદીજીની સફળ રાજનીતિ જ કારણભૂત હોવાનું અમિત શાહે ઉમેર્યુ છે.
પોતાની ટીમની યોગ્યતાઓ અને ક્ષમતાઓને ઓળખ્યા વિના કોઈપણ નેતૃત્વ આગળ વધી ના શકે વડાપ્રધાન મોદીમાં આ ક્ષમતા છે. તેઓ તૂર્ત જાણી જાય છે કે કોઈ વ્યકિત કયા કામ માટે યોગ્ય છે.
મોદીજીમાં પોતાનાથી ઉપર ઉઠીને કામ કરવાની ક્ષમતા, ઈચ્છા શકિત અને નિર્ણય લેવાની અદભૂત આવડત છે. લોકતાંત્રીક પ્રક્રિયા મુજબ બધાની વાત સાંભળવાનો મોટો ગુણ નરેન્દ્રભાઈ મોદી જેવા નેતા જ નિર્માણ કરે છે.