મુખ્ય સમાચાર
News of Tuesday, 17th September 2019

૨૩ વર્ષ પહેલા ડુબ્યું'તું જહાજઃ નેશનલ કન્ઝયુમર કમિશને પોરબંદરની મહિલાને અપાવ્યું ૧ કરોડનું વળતર

૧૦ એપ્રિલ ૧૯૯૬માં મુંબઇથી દુબઇ જતું જહાજ ઓમાનનાં દરીયામાં ડુબ્યું હતું : માલિક કેસરબેને ૧.૦૨ કરોડનો કલેઇમ કર્યો હતો

નવી દિલ્હી, તા.૧૭: નેશનલ કન્ઝયુમર ડિસ્પ્યુટ રિએડ્રેસર કમિશને (NCDRC) કલેઈમ પાસ કરવાનો એક મહત્વપૂર્ણ ચૂકાદો આપતા ૨૩ વર્ષે મહિલને ૧ કરોડ રૂપિયાનું વળતર અપાવ્યું. કમિશને ઈન્શ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે કે મહિલાને ૧ કરોડ રૂપિયા વળતર અને ૯ ટકા વ્યાજ અલગથી ચૂકવે. મહિલાનું જહાજ ૨૩ વર્ષ પહેલા ઓમાનના દરિયા કિનારે પલટી ગયું હતું.

ધ નેશનલ ઈન્શ્યોરન્સ કો. લિમિટેડે આખરે પોરબંદરના કેસરબેન ચામને વીમાના પૈસા ચૂકવવા પડશે. આ માટે કેશરબેન બે દાયકાથી પણ વધુ સમય સુધી લડ્યા. ઈન્શ્યોરન્સ કંપનીએ તપાસ માટે રિવ્યૂ કમિટી રચી હતી જે જહાજ ડૂબ્યું છે કે નહીં તેના કોઈ ચોક્કસ પૂરાવા રજૂ નહોતી કરી શકી, જે કારણે આટલા વર્ષો સુધી મહિલાને રાહ જોવી પડી.

કેસની ડિટેઈલ મુજબ, ૧૦ એપ્રિલ ૧૯૯૬માં મુંબઈથી દુબઈ જઈ રહેલું MSV ચામસ્ટર જહાજ ઓમાનના દરિયા કિનારા નજીક પલટી ગયું હતું. જહાજમાંથી બધા ક્રૂ મેમ્બર્સ બચીને ઓમાનના દરિયા કિનારા સુધી પહોંચી ગયા હતા. પરંતુ આ પ્રતિબંધિત મિલિટ્રી વિસ્તાર હોવાથી તેમને રોયલ ઓમાન નેવીએ પકડી લીધા હતા. કેસરબેને તેમના બિઝનેસ પાર્ટનર્સની મદદથી ચાર દિવસ બાદ ક્રૂ મેમ્બર્સને જેલમાંથી બહાર કાઢ્યા અને તેમને ભારત લાવ્યા હતા.

જયારે કેસરબેને ઈન્શ્યોરન્સ કંપનીમાં ૧.૦૨ કરોડના વિમા માટે કલેઈમ કર્યો તો કંપનીએ સેલ્વેજ એસોસિયેશનને આ ઘટના ખરેખર બની છે કે કેમ તેની તપાસ માટે કહ્યું. પરંતુ કંપનીને ૧૯૯૬માં મળેલો રિપોર્ટ અધુરો હતો. જે બાદ કંપની ICIC ઈન્ટરનેશનલ મરીટાઈમ બ્યૂરો પાસે પહોંચી જેની પાસેથી જૂન ૧૯૯૮માં મળેલું મંતવ્ય થોડું અલગ હતું. આ બાદ ઈન્શ્યોરન્સ કંપનીએ WK વેબસ્ટર એન્ડ કો.ને રિપોર્ટનું રિવ્યૂ કરવા કહ્યુ. જેણે માત્ર બોટમેનનું ઈન્ટરવ્યું લીધું અને ડૂબેલી બોટના કાટમાળને ચેક કરવા કહ્યું, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

ચાર મંતવ્યો બાદ ઈશ્યોરન્સ કંપનીએ ઓગસ્ટ ૨૦૦૪માં કલેઈમ પાસ કરવાથી ઈનકાર કરી દીધો. પરંતુ જહાજ ડૂબ્યું છે તેની તપાસ માટેની બેઝિક ફોર્માલિટી પૂરી કરવામાં નહોતી આવી. આ બાદ કેસરબેને કમિશનમાં જઈને તેમના અને રોયલ ઓમાન નેવી સાથે થયેલા વાતના ડોકયુમેન્ટ રજૂ કર્યું. બોટના કેપ્ટન દ્વારા કરાયેલા કોમ્યુનિકેશન પરથી કમિશન એવા તારણ સુધી પહોંચ્યું કે બોટ ઓમાન દરિયા કિનારે ડૂબી છે, પરંતુ ક્રૂ મેમ્બર્સ જેલમાં હતા અને બાદમાં સ્વદેશ મોકલાયા હોવાના કારણે તેઓ કેટલીક કાર્યવાહી નહોતા કરી શકયા.

(12:12 pm IST)