રસીકરણમાં રાજકારણ વચ્ચે સોનિયા ગાંધીએ વેક્સિનનાં બંને ડોઝ લીધા: રાહુલ જુએ છે રાહ
કોરોના સંક્રમિત થતા રાહુલ ગાંધી જરૂરી સમય પૂર્ણ થયા બાદ રસી લેશે.
મોદી સરકાર અને વિપક્ષ રસીકરણને લઈને એકબીજાને નિશાન બનાવવામાં કોઇ કસર બાકી રાખી રહ્યા નથી. કોંગ્રેસ અત્યાર સુધી વેક્સિન અંગે સવાલો ઉભા કરી રહી છેસામે ભાજપ પણ સવાલ ઉઠાવી રહી છે ત્યારે ભાજપનાં આક્ષેપો બાદ કોંગ્રેસે આ અંગે જણાવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, સોનિયા ગાંધીએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લીધા છે અને રાહુલ ગાંધી હજી ડોઝની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેઓ મે મહિનામાં કોવિડથી સંક્રમિત હતા.
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાએ કહ્યું કે, સોનિયા ગાંધીએ વેક્સિનનાં બંને ડોઝ લીધા છે. તેમને ઘણા મહિના પહેલા કોવિશિલ્ડની વેક્સિન મળી હતી. વરિષ્ઠ નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધી 16 મે નાં રોજ વેક્સિન લેવાના હતા, પરંતુ તેના એક દિવસ પહેલા તેમને કોરોના થઇ ગયો હતો. કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધી જરૂરી સમય પૂર્ણ થયા બાદ આ રસી લેશે.