પાકિસ્તાને ભારતને આપી આતંકવાદી હુમલાની માહીતી-કાશ્મીરમાં હાઇએલર્ટ
પાકિસ્તાન સુધરી ગયું કે પછી ભયાનક ચાલ છે
જમ્મુ તા ૧૭ : આતંકવાદીઓ કાશ્મીરને ફરી એકવાર હચમચાવવાની સાજીસ કરી રહયા છે. થોડા દિવસ પહેલા સુરક્ષાદળો સાથે મુઠભેડમાં માર્યા ગયેલા અંસાર-ગજાવત-ઉલ-હિંદના કમાન્ડર જાકીર મુસાની હત્યાનો બદલો તેઓ લેવા માગે છે. સુત્રો અનુસાર આ માહીતી ભારતને પાકિસ્તાન તરફથી આપવામાં આવી છે. આખા કાશ્મીરમાં સુરક્ષા વધુ સખત કરવાની સાથે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાઇ છે.
પાકિસ્તાને આ પ્રકારની માહીતી ભારતને આપી હોય તેવું પહેલીવાર બન્યું છે. એવું મનાઇ રહયું છે કે આ પાકિસ્તાનની કુટનીતી કે ચાલ પણ હોઇ શકે છે. આ એલર્ટ અંગે કંઇપણ કહેવાની જમ્મુ કાશ્મીરના ડીજીપીએ ના પાડી દીધી છે.
પહેલી જુલાઇથી અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે. આ યાત્રા દક્ષિણ અને ઉતર કાશ્મીરમાં થઇને પસાર થાય છે. અમરનાથ યાત્રા માટેનો પવિત્ર ગુફા તરફ જતો માર્ગ આનંતનાગ અને અવંતીપોરાથી પસાર થાય છે, જયાં આતંકવાદીઓ સોૈથી વધારે સક્રિય છે. દર જુને આ માર્ગ પર આતંકવાદીઓ સીઆરપીએફ પર હુમલો કરી પણ ચુકયા છે. જેમાં પાંચ જવાનો અને એક પોલિસ સસ્ટેશન ઇન્ચાર્જ શહીદ થયા હતા. અમરનાથ યાત્રાના કારણે સુરક્ષાદળ કાશ્મીરમાં પહેલાથી એલર્ટ પર છે. હવે જણાવવામાં આવી રહયું છે કે, પાકિસ્તાને કાશ્મીરમાં હુમલાની માહીતી ભારત અને અમેરીકા સાથે શેર કરી છે, જેના અનુસાર આતંકવાદીઓ અમરનાથ યાત્રા પહેલાં અથવા યાત્રા દરમ્યાન પોતાના મનસુબાઓ પાર પાડી શકે છે.
અલકાયદાના આતંકવાદીઓ દક્ષીણ કાશ્મીરના પુલવામા માં કોઇ મોટો હુમલો કરી શકે છે.હુમલાનો એલર્ટ એ જગ્યાનો પણ છે જયાં ૧૨ ફેબ્રુઆરીએ આત્મઘાતી હુમલો થયો હતો. એલર્ટમાં એમ કહેવાયું છ કે, આતંકવાદીઓ જાકીર મુસાના મોતનો બદલો લેવા ઇચ્છે છે.
પાકિસ્તાન તરફથી મળેલી માહીતીને સેના, સીઆરપીએફ, બી.એસ.એફ, આઇ.ટી.બી.પી., એસ.એસ.બી. અને રાજય પોલીસ સાથે શેર કરવામાં આવી છે. અમરનાથ યાત્રાની સુરક્ષા માટે સશરસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ની લગભગ ૪૫૦ વધારાની કંપનીઓ તહેનાત કરાઇ રહી છે.
પાકિસ્તાન તરફથી હુમલા અંગે અપાયેલી માહીતીને નિષ્ણાંતો ઘણી બધી રીતે જોઇ રહયા છે. નિવૃત બ્રીગેડીએર અનિલ ગુપ્તાએ કહયું કે, કેન્દ્ર સરકારના કડક વલણ પછી પાકિસ્તાન સતત ભારત સાથેના સંબધો સુધારવાની કોશિષ કરી રહયું છે. પહેલા તેણે આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મુકયો અને હવે જો તે ભારતને આતંકવાદી હુમલાની માહીતી આપતું હોય તો તે સારી વાત છે.
પાકિસ્તાને આ પહેલાં વડા પ્રધાન મોદીને પોતાની વાયુસીમાનો ઉપયો કરવાની પણ પરવાનગી આપી હતી. પાકિસ્તાન એ જાણે છે કે ભારત સાથે જો વાર્તાલાપ ચાલુંનહીં થાય તો તેની અર્થવ્યવસ્થા વધુ ખરાબ થશે. જોકે તેનું એમ પણ માનવું છે કે તેના પર તાત્કાલીક વિશ્વાસ નહીં મુંકાય, ઉપરાંત તે માહીતી આપીને પોતાને બચાવવા ઇચ્છે છે જો આતંકવાદીઓ હુમલો કરે તો પાકિસ્તાન કહેશે કે તેમાં અમારો કોઇ હાથ નથી અમે તો પહેલાંજ માહીતી આપી હતી.