મુખ્ય સમાચાર
News of Monday, 17th June 2019

દેશભરમાં કોઈપણ કોલેજમાં એડમિશન માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવા વિચારણા

વિદ્યાર્થીઓએ જુદી જુદી યુનિવર્સિટીઓની એન્ટ્રન્સ એકઝામ આપવાની જરૂર નહિ પડે

નવી દિલ્હી, તા.૧૭: નજીકના ભવિષ્યમાં આખા દેશમાં કોઈપણ કોલેજમાં એડમિશન મેળવવવા માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે તેવી શકયતા છે. નેશનલ એજયુકેશન પોલિસી (૨૦૧૯)નો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં સૂચન છે કે વિવિધ વિષયો માટે દર વર્ષે અનેક વાર કોમન મોડ્યુલર એન્ટ્રન્સ પરીક્ષાનું આયોજન કરવામાં આવે. આ પછી વિદ્યાર્થીઓએ જુદી જુદી યુનિવર્સિટીઓની એન્ટ્રન્સ એકઝામ આપવાની જરૂર નહિ પડે.

હવે તો યુનિવર્સિટીમાં બોર્ડ પરીક્ષામાં ૯૫ ટકાએ કટ ઓફ સાવ સામાન્ય થઈ ગયા છે. દિલ્હી યુનિવર્સિટીમાં તો ૨૦૧૮માં ચાર ટોચની કોલેજોના કટ ઓફ ૯૬ ટકા હતા. હવે આ નવી પોલિસીથી અન્ડર ગ્રેજયુએટ્સને એડમિશન મેળવવા માટે વધુ એક પરીક્ષા આપવી પડશે. ફચ્ભ્ માં એન્ટ્રન્સ ટેસ્ટ વર્ષમાં અનેક વાર લેવાનો પ્રસ્તાવ છે જેથી વિદ્યાર્થી વર્ષ દરમિયાન તેમની અનુકૂળતા પ્રમાણે પરીક્ષા આપી શકે. પરીક્ષામાં વિદ્યાર્થીઓના લોજિક અને રીઝનિંગની કસોટી કરવામાં આવશે. આ સાથે સાથે તે જે વિષયમાં આગળ ભણવા માંગે છે તેનું પણ જ્ઞાન ચકાસવામાં આવશે. ફચ્ભ્ કમિટીએ ૧૦ અને ૧૨ ધોરણની એસેસમેન્ટની પ્રક્રિયામાં પણ ફેરફાર માટે સૂચનો આપ્યા છે.ડ્રાફ્ટ પ્રમાણે એન્ટ્રન્સ ટેસ્ટ નેશનલ ટેસ્ટિંગ એજન્સી લેશે. નવી સિસ્ટમમાં વિદ્યાર્થીઓ જે વિષયોમાં રસ ધરાવે છે તેની પસંદગી કરી શકશે. દરેક યુનિવર્સિટી વિદ્યાર્થીઓનો સ્વતંત્ર પોર્ટફોલિયો ચેક કરી શકશે. ફચ્ભ્ ૨૦૧૯ના ડ્રાફ્ટ મુજબ બોર્ડ પરીક્ષાની નકારાત્મક અસરો પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. સૂચન મુજબ અત્યારે જે રીતે બોર્ડ પરીક્ષા લેવાઈ રહી છે તે વિદ્યાર્થીઓને વધુમાં વધુ ભણતર મેળવવામાં બાધારૂપ બને છે. તેમણે જણાવ્યું કે, પરીક્ષા એ શીખવાનો અનુભવ છે જેનાથી વિદ્યાર્થી ભવિષ્યમાં પરફોર્મન્સ સુધારી શકે. અત્યારે બોર્ડ પરીક્ષા લેવાય છે તેનાથી આ હેતુ સર નથી થતો.કમિટીના સૂચન અનુસાર બોર્ડ પરીક્ષા વિવિધ વિષયોમાં ઓફર થવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ તેમના રસ પ્રમાણે જે જે વિષયોમાં બોર્ડ પરીક્ષા આપવા માંગતા હોય તે પસંદ કરી શકે. તેમણે એમ પણ જણાવ્યું કે પરીક્ષા થોડી સરળ બનાવવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ ફકત કોચિંગ કે ગોખણપટ્ટીના બદલે તેમની અંદર છૂપાયેલી આવડત નિખારી શકે. યુનિવર્સિટી પરીક્ષાનો હેતુ પણ આ જ હોવો જોઈએ.

આ પગલા અંગે વાત કરતા દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર દીપક પેન્ટલે જણાવ્યું કે વિદ્યાર્થીઓને વધુ એક પરીક્ષા અપાવડાવવાને બદલે સીબીએસઈ અને બીજા બોર્ડે પરીક્ષાની પદ્ઘતિમાં સુધારા આણવા જોઈએ. તેમણે કહ્યું, સીબીએસઈ અને બીજા બોર્ડે ખૂબ વધારે માકર્સ આપવાનું બંધ કરવું જોઈએ. પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી અને સ્કોર ઊંચો બતાવવા તેઓ માર્ક સાથે રમત કરે છે. આપણને અત્યારે રાષ્ટ્રીય સ્તરની મોનિટરિંગ કમિટીની જરૂર છે જે બોર્ડ પરીક્ષા પર દેખરેખ રાખે અને વિદ્યાર્થીઓને થોડી વધારે અદ્યરી પરીક્ષા આપવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે એન્ટ્રન્સ પરીક્ષાની સંખ્યા વધારવાથી વિદ્યાર્થીઓ ટ્યુશન પૂરતા સીમિત રહી જશે.

(11:32 am IST)