મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

કેન્દ્રના આદેશ બાદ ગંગા કિનારે યૂપી પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ : વધુ 39 મૃતદેહો મળ્યા

વારાણસીમાં સાત, ગાજીપુરમાંથી 15થી 16, ચંદોલીમાં 8 અને બલિયામાં 8 મૃતદેહ મળ્યા

કોરોના સંકટ વચ્ચે ગંગા નદીમાં મળનાર મૃતદેહોને લઈને યૂપી ડીજીપી ઓફિસે લિસ્ટ જાહેર કર્યો છે. અત્યાર સુધી ગંગા નદીના કાંઠાથી 39 લોકોના મૃતદેહો મળી આવ્યા છે. વારાણસીમાં સાત, ગાજીપુરમાંથી 15થી 16, ચંદોલીમાં 8 અને બલિયામાં 8 મૃતદેહ મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નદીમાં મૃતદેહોને પ્રવાહિત કરવાથી રોકવા માટે ઉન્નાવ, બલિયા, ગાજીપુર, વારાણસી, કાનપુર, ફતેહપુરમાં પેટ્રોલિંગ માટે વિશેષ ટીમો મૂકવામાં આવી છે. જ્યારે ગાજીપુરના 18 સ્મશાન ઘાટો પર પેટ્રોલિંગ માટે પીએસી અને સ્થાનિક પોલીસને લગાવવામાં આવી છે. ટોટલ 34 પોલીસ ટીમો તૈનાત કરીને ગંગા પેટ્રોલિંગ કરાવવામાં આવી રહી છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના મહામારી સામે દેશની જનતા લાચાર બની ગઈ છે. મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે. ગરીબ લોકો પાસે અંતિમ સંસ્કાર કરાવવા જેટલા પૈસા પણ નથી, તેથી તેઓ પોતાના સગા-સંબંધીઓની લાશને ગંગામાં પ્રવાહિત કરી રહ્યાં છે અથવા ગંગા કિનારે દફનાવી રહ્યાં છે. તેવામાં કેન્દ્ર સરકારે યૂપી અને બિહાર સરકારને આદેશ આપ્યો છે કે, મૃતદેહોને નદીઓમાં પ્રવાહિત કરવાથી તત્કાલ રોકવામાં આવે.

આ પહેલા પણ મળેલા 80 જેટલા મૃતદેહોને જેસીબીથી ખાડો ખોદીને દફનાવી દેવામાં આવ્યા હતા. કોરોના મહામારીએ એટલા મોટા પ્રમાણમાં વિનાશ વેર્યો છે કે, ભારતીયોને ચિતા પણ નશીબ થઈ રહી નથી.

(11:59 pm IST)