કમલ હસને ફરી વિવાદ સર્જયો
ઇતિહાસ સાક્ષી છે કે દરેક ધર્મમાં ઉગ્રવાદીઓ છે, હું ધરપકડથી ડરતો નથી
ચેન્નાઇ તા. ૧૭ : કમલ હાસનના નાથૂરામ ગોડસે પર વિવાદિત નિવેદન આપ્યા બાદ થઇ રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે તેમણે અહીં એરપોર્ટ પર કહ્યું કે, હું ધરપકડથી ડરતો નથી. તેમને મારી ધરપકડ કરવા દેવી જોઇએ. જો તેઓ એવું કરે છે તો તેમાં સમસ્યા વધશે, જો કે આ ચેતવણી નથી પરંતુ માત્ર સલાહ છે.
ગત રાત્રે એક રેલીમાં કમલ હાસન પર ઈંડા ફેકવાની ઘટના પર પ્રતિક્રિયા આપતા જાણીતા એકટરે કહ્યું કે મને લાગે છે કે રાજકારણનું સ્તર ઘટી ગયું છે. મને ડર નથી લાગતો. દરેક ધર્મમાં આતંકવાદી છે. આપણે તેને લઇ ખોટો ઢોંગનો દાવો કરી શકતા નથી. ઇતિહાસ સાક્ષી છે કે દરેક ધર્મમાં ઉગ્રવાદી છે.
અન્ય અભિનેતાઓના સમર્થન ના મળતા તેના પર કમલ હાસને કહ્યું કે, અન્ય એકટરોનું પોતાનો અલગ-અલગ વિચાર છે. આ લોકતાંત્રિક દેશ છે. એક મંત્રીની જીભ કાપી નાખવાના નિવેદન પર તેમણે કહ્યું તે મંત્રીના વિચારોનું સ્તર બોલી રહ્યું છે. હું આ અંગે શું કહી શકું?
નાથૂરામ ગોડસે પર આપેલા નિવેદનને સ્પષ્ટ કરતા કહ્યું કે, મારૂ ભાષણ શાંતિ અને ભાઇચારા પર હતું. પોતાની સુરક્ષાના સવાલ પર એકટરે કહ્યું કે, મને સારી સુરક્ષા આપવામાં આવી છે. પરંતુ જો કોઈ કંઇક કરવા માંગે છે તો તેઓ હંમેશા કંઈક ને કંઈક કરી શકે છે. પણ મને એવું દેખાતું નથી.